
ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 931 અને NSEમાં 303 પોઈન્ટનો ઘટાડો
મુંબઈઃ ભારતીય શેર બજારમાં સતત તેજી વચ્ચે બીએસઆઈ સેંસેક્સ 931 અને એનએસઈ 303 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું છે. ભારે વેચવાલીને કારણે શેરબજારમાં કડાકો બોલતા રોકાણકારોને રૂ. 10 લાખ કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. સુત્રોના જણાવ્યા અનુસાર શેરબજારમાં સતત વધારાથી ઉત્સાહિત રોકાણકારોને બુધવાર, 20 ડિસેમ્બર, 2023 ના ટ્રેડિંગ સેશનમાં મોટો આંચકો લાગ્યો છે. ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે સવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું. પરંતુ બપોર બાદ સ્થાનિક અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજાર ઉંધા માથે નીચે પટકાયું હતું અને સેન્સેક્સ 1135 પોઇન્ટ અને નિફ્ટી 366 પોઇન્ટ ઘટ્યો હતો. જેની સૌથી વધારે અસર મિડ કેપ અને સ્મોલ શેરોને થઈ હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 931 પોઈન્ટના ઘટાડા સાથે 70,506 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 303 પોઈન્ટના ઘટાડા સાથે 21,150 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં પ્રોફિટ બુકિંગના કારણે સૌથી મોટો ઘટાડો મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જોવા મળ્યો છે. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 1490 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 2000 પોઈન્ટ્સ તૂટ્યો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ 543 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે આ ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 700 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય એનર્જી મેટલ્સ, બેન્કિંગ, ફાર્મિન્ફ્રા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો સ્ટોક પણ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ સવારે 600 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, ત્યારે આ ઈન્ડેક્સ દિવસના હાઈથી 1300 પોઈન્ટ ઘટી ગયો છે. આઈટી ઈન્ડેક્સ 604 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 23 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 5 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 45 નુકસાન સાથે બંધ થયા હતા. શેરબજારમાં આવેલી સુનામીના કારણે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં મોટો ફટકો પડ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 350 લાખ કરોડ થયું હતું જે છેલ્લા સત્રમાં રૂ. 359.13 લાખ કરોડ હતું.