
- ભારત અને ફ્રાન્સના સંરક્ષણ સંબંધો બન્યા મજબૂત
- ફ્રાન્સે કહ્યું ભારતને જરૂર પડે તો વધુ રાફેલ આપવા તૈયાર
- તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે
નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે, જેનો પુરાવો એ છે કે વર્ષ 2016માં ભારતે 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ લડાકૂ વિમાન માટે ફ્રાન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે ફ્રાન્સે ફરીથી એક વાર ભારતને જરૂર પડ્યે વધુ હથિયારો આપવાની તૈયારી દર્શાવી છે.
ભારતને જરૂર પડે ત્યારે વધુ રાફેલ વિમાન આપવા માટે તૈયારી દર્શાવતા ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લેએ કહ્યું કે, ભારતને જરૂર હોય તો અમે રાફેલ આપવા તૈયાર છીએ. વ્યૂહાત્મક ભાગીદારો દ્વારા સમાન પ્રકારના એરક્રાફ્ટનો ઉપયોગ તેમના સંબંધોની વાસ્તવિક સંપત્તિ અને શક્તિ દર્શાવે છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મને ખાતરી છે કે, નવી શક્યતાઓ માટે અવકાશ છે. જો ભારત વધારાની જરૂરિયાત વ્યક્ત કરશે તો અમે તેનો જવાબ આપવા માટે તૈયાર છીએ.
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાને ભારતીય નૌકાદળના કાફલામાં બીજા એરક્રાફ્ટ કેરિયરને સામેલ કરવાની યોજનાની રૂપરેખા આપતાં સંકેત આપ્યો કે ફ્રાન્સ જહાજ આધારિત ફાઇટર જેટ સપ્લાય કરવામાં રસ ધરાવે છે. “અમે જાણીએ છીએ કે એરક્રાફ્ટ કેરિયર ટૂંક સમયમાં સેવામાં આવશે. તેના માટે એરક્રાફ્ટની જરૂર પડશે,” તેમણે કહ્યું. જો ભારત નક્કી કરે છે તો અમે અન્ય રાફેલ આપવા તૈયાર છીએ.
અત્રે જણાવવાનું કે, ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત એકક્રાફ્ટ કેરિયર વિક્રાંતને આવતા વર્ષે ઓગસ્ટમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની યોજના છે. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત રાફેલ એરક્રાફ્ટનું પ્રથમ કન્સાઈનમેન્ટ ગયા વર્ષે 29મી જુલાઈએ ભારતને સપ્લાય કરવામાં આવ્યું હતું.