
- ભારતમાં કોરોના કહેર બાદ યુકેનો નિર્ણય
- યુકેએ ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂક્યું
- બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બ્રિટને ભારત પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની સ્થિતિને જોતા બ્રિટિશ પીએમ બોરિસ જોનસને પણ પોતાનો ભારત પ્રવાસ રદ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતમાં કોરોનાના વેરિયન્ટ જોવા મળ્યો છે તેના 103 કેસ બ્રિટનમાં સામે આવ્યા છે. તેથી હવે નવા નિયમ પ્રમાણે ભારતથી આવતા તમામ લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, યુકે અને આઇરિશના રહેવાસીઓ જેઓ છેલ્લા 10 દિવસથી ભારતમાં છે તેમણે યુકે પરત ફર્યા બાદ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોટલમાં 10 દિવસ સુધી ક્વોરેન્ટીન રહેવું પડશે. આ નિયમ 24 એપ્રિલથી અમલી બનશે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, અમે ભારતને રેડ લિસ્ટમાં મૂકવાનો મુશ્કેલ પરંતુ જરૂરી નિર્ણય લીધો છે. છેલ્લા 10 દિવસથી ભારતમાં હોય તેવા યુકે અથવા આઈરિશના રહેવાસી ન હોય અથવા તો બ્રિટનના નાગરિક ન હોય તેઓ યુકે આવી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે, બ્રિટનમાં ભારતીય વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. જે મોટા ભાગે ઈન્ટરનેશનલ ટ્રાવેલના કારણે જોવા મળ્યા છે.
આપને જણાવી દઇએ કે, સોમવારે સતત બીજા દિવસે ભારતમાં અઢી લાખથી વધારે કોરોના કેસ નોંધાયા હતા જ્યારે 1619 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યારસુધી કોરોનાને કારણે 1,78, 769 લોકોના મોત થયા છે.
(સંકેત)