
જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 નાબુદ થયા બાદ આતંકવાદી ઘટનામાં 186 નાગરિકો-સુરક્ષા કર્મચારીઓ શહીદ
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી સરકાર દ્વારા કાશ્મીરી પંડિતોની વાપસી અને સમુદાયના લોકો પરના હુમલાઓ અંગે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જવાબમાં જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિંદુઓના મૃત્યુ થયાં છે. જ્યારે 2105 પરપ્રાંતીયોએ નોકરી માટે ખીણમાં પરત ફર્યા છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા બાદ 2020-21માં જમ્મુ અને કાશ્મીરમાં 841 લોકોની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે વર્ષ 2021-22માં 1264 લોકોની નિમણૂક કરવામાં આવી હતી. આ રીતે, કુલ 2105 પ્રવાસીઓને વડાપ્રધાન વિકાસ પેકેજ હેઠળ ઘાટીમાં નોકરી આપવામાં આવી છે. એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે જે લોકો કાશ્મીર જવા માગે છે તેમના માટે ત્યાં મકાનો બનાવવામાં આવી રહ્યા છે.
નિત્યાનંદ રાયે કહ્યું કે, આર્ટીકલ 370 નાબુદ કર્યા બાદ 5 ઓગસ્ટ 2019 થી 24 માર્ચ 2022 સુધીના સમયગાળામાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 4 કાશ્મીરી પંડિતો અને 10 હિંદુઓ સહિત કુલ 14 લોકોની હત્યા કરવામાં આવી છે. આ સિવાય જો આતંકવાદી ઘટનાઓમાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓ અને નાગરિકોની વાત કરીએ તો મે 2014થી ઓગસ્ટ 2019 સુધીમાં 170 નાગરિકો અને 406 સુરક્ષાકર્મીઓ આતંકવાદી ઘટનાઓનો શહીદ થયાં છે. ઓગસ્ટ 2019 એટલે કે કલમ 370 નાબૂદીથી નવેમ્બર 2021 સુધી આતંકવાદી ઘટનાઓમાં 87 નાગરિકો અને 99 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયાં છે.
દરમિયાન, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન વિકાસ પેકેજ 2015 હેઠળ કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ માટે રાજ્ય સરકારની 3000 નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે. 2828 પ્રવાસીઓની નિમણૂંક માટેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાંથી 1913 પરપ્રાંતીયોની નિમણૂંક કરવામાં આવી છે અને બાકીના 915 લોકોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી ચાલી રહી છે. રાજ્યસભામાં આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર કાશ્મીરી સ્થળાંતર કરનારાઓને દર મહિને પરિવાર દીઠ ₹13000ની સહાય પણ આપે છે.