
રાજપુત-ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં મળે તે બેઠક પર કરણી સેના પોતાના ઉમેદવારો ઊભા રાખશે
ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય ગતિવિધિઓ અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ જ્ઞાતિ-સમાજ દ્વારા પણ પોતાના સમાજને વધુ ટિકિટ મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજપૂતો-ક્ષત્રિયોનુ પ્રભુત્વ છે એવાં વિસ્તારોમાં કરણીસેના દ્વારા પ્રથમ રેલીઓ યોજાઈ હતી. રાજ્યના અલગ અલગ શહેરોમાં કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત સભાઓ-પત્રકાર પરિષદો યોજી રહ્યાં છે ત્યારે ભાવનગર શહેરની મુલાકાતે આવેલા રાજશેખાવતે રાજકીય પક્ષો પાસે રાજપૂતો અને ક્ષત્રિયો માટે વધુ ટિકિટની માગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ઉપરાંત રાજસ્થાન ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં રાજપૂતો-ક્ષત્રિયોનું બહોળું પ્રભુત્વ છે. આ રાજ્યોમાં ક્ષત્રિયો-રાજપૂતોની સંખ્યા પણ વિશાળ છે. ત્યારે આ જ્ઞાતિઓનુ સૌથી મોટું સંગઠન “કરણીસેના” સમાજના અલગ અલગ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ સાથે રાજપૂત-ક્ષત્રિયોને એક તાંતણે જોડવાનું કાર્ય કરી રહ્યું છે. આ સિવાય દેશના આદિ ઈતિહાસની ઐતિહાસિક ધરોહર સાથે તેનો માન-મરતબો અકબંધ જળવાઈ રહે એ સિવાય હવે આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમાં પણ કરણીસેના પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે.
ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે દેશમાં રાજ-રજવાડાકાળમાં સુ-શાસન અકબંધ હતું. પરંતુ રજવાડાને સ્વરાજ માટે અર્પણ કર્યાં બાદ શાસનની સ્થિતિ કથળી છે આથી દેશમાં સુ-શાસન તમામને ન્યાય દેશની બહેન-દીકરી સુરક્ષિત રહે અને આદી ઈતિહાસની અવમૂલ્ય કે અવગણના ન થાય એ મુદ્દે કરણીસેના આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડશે. શેખાવતે ઉમેર્યું હતું કે, રાજનીતિ અમારા રક્તમા વહે છે આવનારી ચૂંટણીમાં રાજકીય પક્ષો કરણીસેનાના ઉમેદવારોને ટિકિટ આપે તો સારી વાત છે બાકી અપક્ષ ઉમેદવારી નોંધાવી કરણીસેનાના ઉમેદવારો ચૂંટણી લડશે અને જરૂર જણાયે રાજ શેખાવત ખુદ ચૂંટણી લડી સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.