1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેજરિવાલ અને સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવશે, બન્નેની સુરક્ષાની આપ’એ માગ કરી
કેજરિવાલ અને સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવશે, બન્નેની સુરક્ષાની આપ’એ માગ કરી

કેજરિવાલ અને સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવશે, બન્નેની સુરક્ષાની આપ’એ માગ કરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી એટલે કે, તા. 22મીથી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ડે. સીએમ મનીષ સીસોદિયા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં બન્ને નેતાઓ પર હુમલો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીએ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને પત્ર લખીને બન્ને નેતાઓને સુરક્ષા આપવાની માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે આપ’ના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી ગુજરાતના બે દિવસના પ્રચારમાં કેજરિવાલ સાથે મનીષ સિસોદિયા પણ જોડાવવાના છે. તાજેતરમાં જ દિલ્હીમાં શરાબ આબકારી નીતિના મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIએ દરોડા પડ્યા હતા. આથી વિરોધી પક્ષના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે તેવી સંભાવનાને પગલે આમ આદમી પાર્ટીએ બંને નેતાઓની કડક સુરક્ષા માટે રાજ્યના પોલીસ વડાને રજૂઆત કરી હતી.

આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ તેઓને અંગત સૂત્રોથી માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ઉપર હુમલો થઈ શકે છે. પોલીસ વડા આશિષ ભાટિયાને આપેલા આવેદન પત્રમાં લખ્યું છે કે, શાસક પક્ષની વિચારધારાથી પ્રેરાઈને કેટલાક અસામાજિક તત્વો કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર હુમલો કરવાનો પ્લાન કરી રહ્યા છે. જેથી તેમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી , ભાવનગર એસપીને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ હિંમતનગર જવા રવાના થશે. હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક અગત્યની ઘોષણા કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code