ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરવા માટે જે પોથી પસંદ કરવામાં આવી તેનું વિશેષ મહત્ત્વ, જાણો એ શું છે?
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 – નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :૨૦૨૬-૨૭’ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે.
કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે.
શું છે વારલી ચિત્રકળા?
વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહે છે. તેઓ તેમની આગવી ચિત્રકલા માટે જાણીતા છે ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની આગળ દીવાલ ઉપર પલાળેલા ચોખાને પથ્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી તહેવારો સગાઈ, લગ્ન, પાકની લણણી, જન્મ જેવા વિવિધ પ્રસંગોએ ઘરની લીપેલી દીવાલ ઉપર ચિત્રકામ કરે છે.
ચિત્રોમાં રોજબરોજના જીવન ઉત્સવો, નૃત્યો, જંગલો, પર્વતો, નદી, ઝરણા દેવી તથા દેવતાઓ વગેરે દોરવામાં આવે છે. નૃત્ય કરતા લોકો, કુવે પાણી ભરતી બહેનો, ગોવાળિયા, ચરતા પશુઓ, તાડના ઝાડ પરથી તાડી ઉતારતા લોકો, જુદા જુદા વૃક્ષો, પંખીઓ, સાપ, અજગર, ઝૂંપડાં ઘર ખેતરમાં થતાં કામો જેવા કે દરણું દળતી, વલોણું કરતી, ચોખા ખાંડતી, અનાજને સુપડાથી સાફ કરતી, છોકરા હીંચકાવતી, કચરો વાળતી, રસોઈ બનાવતી બહેનો, ખેતર ખેડતા, નીંદતા, વાવણી કરતા લાકડાની ભારી લઈ જતા, ઇન્દ્રદેવને વધાવતા, વાઘદેવની પૂજા માટે જતા, બળદગાડું લઈને જતા, શિકારના દ્રશ્યો વગેરે જોવા મળે છે. જંગલી પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ,નાગદેવ, પંચોરાદેવ ઇન્દ્ર દેવ,વાઘ દેવ તથા કંસરી દેવી ચિત્રોના મુખ્ય વિષય છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું
વધુમાં પલાળેલા ચોખાથી બનતા સફેદ રંગ ઉપરાંત સિંદૂર ગુલાલ કંકુ મધ કાળી રાખ પણ પ્રસંગોચિત રીતે ચિત્ર સામગ્રી તરીકે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે ભૌમિતિક આકારો ત્રિકોણ વર્તુળ અર્થ ગોળાકાર તથા ચોરસ જેવા વિવિધ આકારોની મદદથી તથા રેખાઓ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવે છે.
વારલી ચિત્રકલા ૧૨૦૦ વર્ષ જૂની છે. આધુનિક જગતના આક્રમણથી વારલી જાતિના જીવનમાં પણ ફેરફારો આવતા થયા છે અને આ કલા અન્ય આદિમ કલાઓની માફક કાળના ગર્ભમાં લુપ્ત થઈ રહી છે ત્યારે બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્ર કલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, આ વર્ષે પણ બજેટ પોથી પર બીના હસમુખ પટેલે વારલી ચિત્રકલા દોરી છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી બજેટ પોથી પર ચિત્ર દોરી આ સેવા આપી રહ્યા છે.


