
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો સાથે આયુષ્યમાન કાર્ડનો વિવાદ ઉકેલાયો, હવે સારવાર મેળવી શકાશે
ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતા નાગરિકોને માત્ર સરકારી જ નહીં પણ ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબી સારવારનો લાભ મળે છે. પણ સરકાર દ્વારા તેમજ વિમા કંપનીઓ દ્વારા ખાનગી હોસ્પિટલોને બાકી બિલનું સમયસર ચુકવણું કરવામાં આવતું ન હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ આયુષ્યમાન કાર્ડથી તબીબી સેવા પર રોક લગાવી દીધી હતી. આ પ્રશ્ને ખાનગી હોસ્પિટલના સંચાલકોનું સરકાર સાથે સમાધામ થઈ ગયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથેની બેઠકમાં ખાનગી હોસ્પિટલનું સમાધાન થઈ ગયું છે. ખાનગી હોસ્પિટલના બાકી નાણાં ત્વરિત ચૂંકવી દેવાની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. આરોગ્યમંત્રીએ ખાનગી હોસ્પિટલ સંચાલકોને ખાતરી આપી છે. કે વીમા કંપનીઓ પાસેથી પણ બાંહેધરી લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે PMJAY એમપેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી ધનંજય દ્વિવેદી, હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, PMJAY યોજનાના અધિકારી ડોક્ટર શૈલેષ આનંદ, ઓરિએન્ટલ અને બજાજ ઇન્સ્યોરન્સના અધિકારીઓ તથા હોસ્પિટલ એસોસિએશન PEPHAG ના સભ્યો વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ઈન્ડિયન મેડિકલ એસોના ગુજરાતના સેક્રેટરી તેમજ અમદાવાદ મેડિકલ એસોના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ શાહ તથા ડોક્ટર તુષાર પટેલ પણ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં આગળની પોલીસી તથા ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચુકવણી અને અન્ય પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી આ બધી જ મુશ્કેલીઓનું નિરાકરણ લાવી દરેક દર્દીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઉત્તમ સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતુ. PMJAY હોસ્પિટલના બાકી પેમેન્ટનો પેશન્ટ વાઇઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે અને શુક્રવાર સુધીમાં તેમના બાકી નાણાંની ચુકવણી પણ કરી આપવામાં આવશે એવી બાહેંધરી આપી હતી. આ ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ આવે એ માટે સ્ટેટ હેલ્થ ઓથોરિટી તથા PEPHAG ના સભ્યોની વચ્ચે નિયમિત મિટિંગો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.