
કોંગ્રેસના અધ્યક્ષ બનતા મલ્લિકાર્જુન ખડગે એકશન મોડમાં, શશિ થરૂર અને G-23 નેતાઓને સાઈડલાઈન કરાયાં
નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીની સંચાલન સમિતિની જાહેરાત કરી છે. તેમાં અનેક મોટા નામ સામેલ છે. આ સમિતિમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી પાર્ટીની ગતિવિધિઓ સંચાલન કમિટીના માધ્યમથી ચાલશે.
CWC કોંગ્રેસની સૌથી મોટી નિર્ણય લેનારી સંસ્થા છે, પરંતુ જ્યાં સુધી તેની રચના ન થાય ત્યાં સુધી તમામ નિર્ણયો આ કમિટી દ્વારા લેવામાં આવશે. CWCની જાહેરાત પાર્ટીના પૂર્ણ સત્રમાં કરવામાં આવશે. પાર્ટીના બંધારણ મુજબ 11 સભ્યો નોમિનેટ થાય છે અને 12 ચૂંટાય છે. બુધવારે, CWCના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધા હતા જેથી નવી સમિતિની રચના સરળતાથી થઈ શકે.
કોંગ્રેસની સંચાલન કમિટીમાં કુલ 47 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી, ડૉ.મનમોહન સિંહ, એકે એન્ટની, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, અંબિકા સોની, આનંદ શર્મા, અવિનાશ પાંડે. ગાયખાંગમ, હરીશ રાવત, જયરામ રમેશ, જિતેન્દ્ર સિંહ, કુમારી સેલજા, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, ઓમેન ચાંડી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, રણદીપ સિંહ સુરજેવાલા, રઘુબીર મીના, તારિક અનવર, એ ચેલ્લા કુમાર, અધીર રંજન ચૌધરી, ભક્ત ચારણ. દેવેન્દ્ર યાદવ, દિગ્વિજય સિંહ, દિનેશ ગુંડુ રાવ, હરીશ ચૌધરી, એચ.કે. પાટીલ, જય પ્રકાશ અગ્રવાલ, કેએચ મુનિયપ્પા, બી મણિકમ ટાગોર, મનીષ ચતરથ, મીરા કુમાર, પીએલ પુનિયા, પવન કુમાર બંસલ, પ્રમોદ તિવારી, રંજની પાટીલ, રઘુ શર્મા, સંજીવ શુક્લા, સલમાન ખુર્શીદ, શકિત કુમાર. ગોહિલ, ટી સુબ્બીરામી રેડ્ડી, તારિક હમીદનો સમાવેશ કરાયો છે.
આનંદ શર્મા, મુકુલ વાસનિક જેવા કેટલાક પસંદગીના નેતાઓ સિવાય G23ના નેતાઓને કોંગ્રેસની ગવર્નિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મલ્લિકાર્જુન ખડગે સામે ચૂંટણી લડનારા શશિ થરૂરને પણ આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ સિવાય વરિષ્ઠ નેતા મનીષ તિવારી, પીજે કુરિયન, પૃથ્વીરાજ જવાન, ભૂપેન્દ્ર હુડ્ડાને પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીનું નેતૃત્વ બદલવાની માંગ કરી હતી.