
વેરાવળ- સોમનાથમાં મેગા ડિમોલેશન, દરિયા કિનારે 175 કાચા-પાકા મકાનોના દબાણો દુર કરાયા
વેરાવળઃ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તેમજ સરકારી જમીન ઉપર વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. જેમાં દરિયા કાંઠા વિસ્તારમાં તો ગેરકાયદે દબાણો કરીને કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. ત્યારે દબાણો દુર કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી મોટા પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. એમાં 21 પાકાં મકાનો તથા 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે.
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરી છે. જેમાં દ્વારકામાંથી મોટાપાયે દબાણો દુર કરીને સરકારી જમીનો ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ મંદિર નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સોમનાથમાં 17 વીઘા જમીન ખુલ્લી કરવામાં તંત્રને સફળતા મળી છે.. આ મેગા ડિમોલિશન માટે 500 જેટલા પોલીસકર્મીઓને કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં ગેરકાયદે દબાણો ખુલ્લાં કરવા અંગે વહેલી સવારથી મોટા પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે. ડિમોલેશનમાં 21 પાકાં મકાનો, 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ સોમનાથમાં સરકારી જમીન ઉપરનાં દબાણો ખુલ્લાં કરાવવાનો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરાયો હતો.. મેગા ડિમોલિશનની કામગીરીમાં કોઈ વિક્ષેપ ઊભો ના થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી તથા જીઆઇડી મળી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો. ડિમોલિશનના લીધે વિસ્થાપિત થનારા પરિવારો પ્રત્યે રેવન્યુ અને પોલીસતંત્રનું માનવીય વલણ જોવા મળ્યું હતું. એમાં વહીવટી તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારોની ઘરવખરી અને માલસામાનને અન્ય સ્થળે લઈ જવા માટે ટ્રેક્ટર સહિતનાં વાહનોની સુવિધા કરી આપવામાં આવી હતી. ઉપરાંત તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારના લોકો અને બાળકો માટે જમવા અને નાસ્તાની વ્યવસ્થા માનવતાના ધોરણે કરી દેવામાં આવી હતી. આમ, આ બન્ને ઘટનાએ તંત્રમાં લોકો પ્રત્યે રહેલી સંવેદનશીલતાનાં દર્શન કરાવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે જૂનાગઢમાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વોકળા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. અને હવે નદીને ઊંડી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે.