
સુરતઃ મેઘરાજાએ ઘણીબધી રાહ જોવડાવ્યા બાદ આખરે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ચારે તરફ વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતોનો તાત પણ ખુશ જણાઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ વરસાદ ન ખાબકતા તેમજ ઉપરવાસમાં પણ વરસાદ ન થતા ઉકાઈ ડેમ સહિત નદી નાળાઓમાં જળ સ્તર ઘટી રહ્યું હતું. જોકે હાલ વરસાદી વાતાવરણને કારણે ખેડૂતો સહિત વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. આજે શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધામાં રાજ્યના 86 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામ, ધરમપુર, પારડીમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આજે શનિવારે પણ વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો હતો પણ અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં તે માત્ર વરસાદના સામાન્ય છાંટણા જ પડ્યા હતા. ઉપરવાસમાં વરસાદને લીધે સુરતનો વિયર કમ કોઝવેની સપાટી 6 મીટરને આંબી જતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. સુરત અને તાપી જિલ્લાની અંદર વરસતા વરસાદને કારણે તાપી નદીના જળ સ્તરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નાના નાના ચેકડેમો પણ પાણીથી છલકાઈ ગયા છે. ઉકાઈ ડેમની હાલની સ્થિતિ 325 ફૂટ સુધીની નોંધાઇ રહી છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર પણ વરસાદ ગત વર્ષ કરતા ઓછો નોંધાતા ઉકાઈ ડેમની પાણીની આવકમાં પણ નોંધનીય વધારો થયો નથી, હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું નથી. તેના કારણે ઉકાઈ ડેમની જળ સપાટી 325 ફુટની આસપાસ નજર રહી છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર જે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે હાલત ડેમની સપાટીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ અને ઓગષ્ટ મહિનાની અંદર પણ વરસાદ ખેંચાઇ જતાં જળાશયોમાં પાણી ખૂબ ઓછું જોવા મળી રહ્યો હતો. તેના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. બીજી તરફ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાઈ જતા ખેતી ઉપર તેની સીધી અસર થતી દેખાઈ રહી હતી. જોકે વિલંબથી પણ હાલ ચોમાસાની જમાવટ થવાને કારણે હવે ખેડૂતોને આશા છે કે, ખરીફ પાકનો સારોએવો ઉતારો આવશે..