
ભારત અને ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી સૈન્ય મંત્રણા,ડ્રેગન પર સેના પાછી ખેંચવા દબાણ
- ભારત-ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી સૈન્ય મંત્રણા
- LAC પર તણાવ ઓછો કરવા માટે મંત્રણા
- ડ્રેગન પર સેના પાછી ખેંચવા દબાણ
દિલ્હી:પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલા તણાવને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રવિવારે ભારતીય અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર-સ્તરની વાટાઘાટો થઈ હતી.ચુશુલ-મોલ્ડો પોઈન્ટ પર આ બેઠક લગભગ 12 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન LAC પર તૈનાત પોતાના સૈનિકોને પાછા ખેંચવા માટે ભારત દ્વારા ચીન પર દબાણ કરવામાં આવ્યું હતું.રવિવાર પહેલા 11 માર્ચે ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વચ્ચે સૈન્ય વાટાઘાટો થઈ હતી.હાલમાં બંને દેશોના લગભગ 60,000 સૈનિકો LACના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત છે.
એલએસી પર ભારતીય સીમા તરફ ચુશુલ મોલ્ડો બેઠક સ્થળ પર સવારે લગભગ 9.30 વાગ્યે વાટાઘાટો શરૂ થઈ, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોટ સ્પ્રિંગ વિસ્તારના પેટ્રોલિંગ પોઈન્ટ 15 પર સેનાને સંપૂર્ણ રીતે હટાવવા અંગેની વાતચીતમાં પ્રગતિ થવાની સંભાવના છે.રવિવારે યોજાયેલી સૈન્ય વાટાઘાટોના 16મા રાઉન્ડમાં, ભારતે એપ્રિલ 2020 પહેલા એલએસી પર યથાવત સ્થિતિ જાળવી રાખવા ચીન સાથે વાત કરી હતી.એપ્રિલ 2020 થી બંને દેશો વચ્ચે LAC પર સ્ટેન્ડઓફ શરુ છે.
આ સૈન્ય સંવાદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ લેહ સ્થિત 14મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિંદય સેનગુપ્તાએ કર્યું હતું. તે જ સમયે, ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ દક્ષિણ શિનજિયાંગ લશ્કરી જિલ્લાના વડા મેજર જનરલ યાંગ લિન કરી રહ્યા હતા.ભારતે સતત કહ્યું છે કે,દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે LAC પર શાંતિ અને સંવાદિતા જાળવવી મહત્વપૂર્ણ છે. તે જ સમયે, 11 માર્ચે ભારતીય સેના અને ચીની સેના વચ્ચે 15માં તબક્કાની વાતચીતમાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. એક સંયુક્ત નિવેદનમાં, બંને પક્ષોએ જણાવ્યું હતું કે મુદ્દાઓના નિરાકરણથી પ્રદેશમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ થશે.