
ગુજરાતના 17 જિલ્લામાં 50,000થી વધુ પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા, કુલ 1240 પશુનાં મોત
અમદાવાદઃ રાજ્યના 17 જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. 50.000થી વધુ પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. જ્યારે 1240 પશુઓ મોતને ભેટ્યા છે. લમ્પી વાયરસને લીધે પશુપાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વાયરસને કારણે પશુઓ દુધ આપતા પણ બંધ થઈ ગયા છે. દૂધની ડેરીઓમાં દૂધની રોજિંદી આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે હાલની સ્થિતિએ અત્યાર સુધી કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ થયો હોવાથી અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે.
કૃષિ અને પશુપાલન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મોત થયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જિલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. આ 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 298 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજ્યની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે. સાથોસાથ સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી સંદર્ભે રાજયના મુખ્ય સચિવ દ્વરા પણ સમીક્ષા કરવામાં આવી છે અને પશુપાલન સચિવ અને પશુપાલન નિયામકે ઉપસ્થિત રહી રાજ્યમાં થયેલ કામગીરીની વિગતો આપી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે,પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરુ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 15,583 એટલે કે દરરોજ સરેરાશ 1948 જેટલા કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે. રાજ્યમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 14 જિલ્લ્લાઓમાં પશુઓની હેરફેર અને પશુ મેળાઓ પર પ્રતિબંધ માટે 26 જુલાઈ 2022ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. સાથોસાથ આ રોગના નિયંત્રણ અને મોનિટરિંગ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમન સહિતની સમિતિની રચના અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે.