
ગાંધીનગરઃ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂ. 6,242 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રી કુંવરજી બાવળિયાએ ગૃહમાં કહ્યું હતું કે, 30 વર્ષ અગાઉ ગુજરાતમાં પીવાના પાણી માટેની શું પરિસ્થિતિ હતી, તેના આપણે સૌ સાક્ષી છીએ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર વર્ષે દુકાળની પરિસ્થિતિ સામાન્ય બાબત હતી, અછતગ્રસ્ત જિલ્લાઓમાં અડધાથી વધારે ગામોને ટેન્કરથી પાણી આપવામાં આવતુ હતું, પાણીના ટીપા ટીપા માટે બહેનો દ્વારા બેડા યુધ્ધ થતા હત્તા. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આખે આખુ ટેન્કરરાજ અમલમાં હતું. આવા સમયમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની તકલીફમાં પણ તક શોધવાની, આપત્તિને અવસરમાં ફેરવવાની દિર્ઘદ્રષ્ટીથી, પીવાના પાણીના ક્ષેત્રે એક અભૂતપુર્વ કામગીરી કરી છે. રાજ્ય સરકારે છેવાડાના માનવીના કલ્યાણને ધ્યાનમાં રાખીને, રામ રાજ્યની વિભાવના સાકાર કરી છે. જેના પરિણામે ગુજરાત દરેક ક્ષેત્રે દેશનું મોડલ સ્ટેટ બન્યું છે.
મંત્રી બાવળિયાએ ગૃહમાં જણાવ્યું હતું કે, પીવાના પાણીની જોગવાઈ એ રાજ્યની પ્રાથમિક જવાબદારીઓમાંની એક છે. ગુજરાત સરકારે પીવાના પાણીની મર્યાદિત ઉપલબ્ધતાની સમસ્યાને દૂર કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. ગુજરાત, એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોને પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવા અને કૃષિ – ઉદ્યોગના આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે આ દિશામાં, મહત્તમ સરફેસ સોર્સ આઘારીત પાણીના ઉપયોગ માટેના સુદ્રઢ પગલાં લીધાં છે.
મંત્રીએ કહ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગે રાજ્યની પાણીની અછતની સ્થિતિને ટકાઉ ધોરણે નિવારવાના લક્ષ્ય સાથે “રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ” બનાવવાની પહેલ કરી, તમામને પૂરતા પ્રમાણમાં પાણી સુનિશ્ચિત કરાવવા માટે મજબૂત માળખું બનાવવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં, ગુજરાત જળ સુરક્ષા અને જળ સંસાધનોના કાર્યક્ષમ સંચાલન તરફની પહેલ માટે દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા માટે પાણીના માળખામાં રોકાણ, લાંબા ગાળાની જળનીતિના અમલીકરણ, સ્થાનિક માળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠા સેવાઓના સંચાલનમાં ગ્રામીણ સમુદાયોની ભાગીદારીને, પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું છે.
મંત્રીએ કહ્યું હતું કે,રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામો થયા છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં રૂ. 20,000 કરોડથી વધુ રકમના ખર્ચે રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નિર્માણ થકી 3,200 કી.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ થયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના 18,152 પૈકી 14,926 ગામો તેમજ 241 શહેરો નર્મદા તથા અન્ય સરફેસ સ્ત્રોતથી જોડાયેલ છે, જે થકી સમગ્ર રાજ્યમાં 352 જૂથ યોજનાઓ હેઠળના 1432 હેડવર્ક/સબહેડવર્ક થકી 4.36 કરોડ લોકોને દૈનિક 3200 એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.