ભારતની પ્રાથમિકતા 7-8 ટકાનો વિકાસદર જાળવી રાખવાની: નાણામંત્રી
નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકારની બજેટ રણનીતિનો મુખ્ય સ્તંભ ‘રોકાણ’ છે, જેથી આર્થિક વૃદ્ધિને ટકાઉ બનાવી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બજેટમાં એવા શ્રમ-પ્રધાન ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં મોટા પાયે નવી રોજગારીની તકો ઊભી થઈ શકે. સોનાના ભાવમાં જોવા મળતા મોટા ઉતાર-ચઢાવ અંગે નાણામંત્રીએ કહ્યું કે, “વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો અત્યારે કોઈ એક ચલણ પર પૂરો ભરોસો રાખી રહ્યા નથી. આથી તેઓ સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે.” ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારવાના નિર્ણયનો બચાવ કરતા તેમણે કહ્યું કે, આ પગલું લોકો જોખમ સમજ્યા વગર સટ્ટાખોરીમાં ન કૂદે તે માટે લેવામાં આવ્યું છે.
સરકારી કંપનીઓમાં જાહેર હિસ્સેદારી વધારવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનેટાઇઝેશનની પ્રક્રિયા અટકશે નહીં. આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણની પ્રક્રિયા પણ યોગ્ય દિશામાં છે. 9 માર્ચથી શરૂ થતા બજેટ સત્રના બીજા ભાગમાં સરકાર ‘ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ’માં સુધારા માટે વિધેયક લાવશે, જેથી દેવા સંબંધિત પ્રક્રિયા વધુ ઝડપી બની શકે.
નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે જાળવી રાખવા માટે 7 થી 8 ટકાનો આર્થિક વિકાસ દર જાળવવો અનિવાર્ય છે. જો અર્થતંત્રની ગતિ સારી રહેશે, તો જ તેનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે અને માથાદીઠ આવકમાં વધારો થશે. મહિલાઓની ભૂમિકા અંગે વાત કરતા સીતારમણે કહ્યું કે, હવે નોકરીદાતાઓ મહિલાઓની કાર્યક્ષમતા અને ચોકસાઈને વધુ મહત્વ આપી રહ્યા છે, જેના કારણે સેમી-સ્કિલ્ડ જોખમમાં મહિલાઓની સંખ્યા વધી છે. જોકે, તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે કંપનીઓના બોર્ડરૂમ અને નેતૃત્વના સ્તરે હજુ પણ મહિલાઓની હાજરી ઓછી છે. વધુ મહિલાઓએ નેતૃત્વની ભૂમિકામાં આવીને નિર્ણયો લેવા જોઈએ જેથી તેઓ અન્યો માટે પ્રેરણા બની શકે.


