અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો, સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
અમદાવાદઃ શહેરમાં ધીમીગતિએ વધી રહેલી ઠંડીની સાથે કોરોનાના કેસ પણ વધતા જાય છે. જોકે હજુ સામાન્ય કે નજીવો જ વધારો થયો છે. પણ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે. સરકારે પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની એન્ટ્રી બાદ સંભવિત કોરોનાની ત્રીજી લહેરનું જોખમ સતત તોળાઇ રહ્યું છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોન વોર્ડ ઊભો કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઓમીક્રોનનું સંક્રમણ વધે તો કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. જેમાં અમદાવાદ શહેરમાં બહારગામથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં આઇસોલેટ રખાશે. સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોન વોર્ડમાં 4 વિંગ્સ બનાવાઇ છે અને તમામ વિંગ્સમાં 12-12 વેન્ટિલેટર બેડની સુવિધા ઉભી કરાઇ છે. આ ઉપરાંત વોર્ડમાં વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.ત્યારે રાજ્યના આરોગ્ય કમિશનર શિવહરેએ અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલમાં ઓમિક્રોન સામેની તૈયારીની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમીક્રોન વેરીએન્ટની એન્ટ્રી બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જેના પગલે રાજ્યમાં સારવાર માટે બેડ, ઓક્સિજન અને દવાઓની અછત ના સર્જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ નવો વેરીએન્ટ આવે તો તેને પહોંચી વળવા સરકારે 87959 બેડની વ્યવસ્થા કરી છે.જેમાં હાલ રાજ્યમાં 87959 ICU,વેન્ટિલેટર, ઓક્સિજન અને જનરલ બેડની વ્યવસ્થા છે. તેમજ દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો છે. નવા વેરીએન્ટને પહોંચી વળવા સરકારે દવાઓનો પૂરતો સ્ટોક રાખ્યો છે. ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા સરકારે દવાઓનો પૂરતો સ્ટોક રાખ્યો છે