સોમનાથમાં શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટી પડ્યાં
વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન દેશ-વિદેશના અનેક યાત્રાળુઓએ દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રવણ મહિનાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ શ્રાવણી અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટેનું વિશેષ મહાત્મ્ય છે. જેથી ભાવિકોએ પીપીળાને પાણી રેડીને ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ કર્યું હતુ.
ભગવાન શિવની ઉપાસના સાથે સોમનાથ તીર્થમાં ગુરૂવારે શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસનો દિન હતો. શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને પણ ભારે માત્રામાં ભાવિકો ઊમટ્યાં હતા. તેમજ નજીકમાં આવેલા હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓના સંગમ તટે મોટી સંખ્યામાં ભાવિકો પીપળાને પાણી રેડવા અને પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા હતા.
શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ અંતિમ નિજધામ ગમન કરવા માટે પ્રભાસ તીર્થમા આવ્યા હતા. અહીં 56 કોટી યાદવોને મુક્તિ અપાવી હતી. શ્રાવણી અમાસના દિને દરેક ભાવિકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના પિતૃઓનું તર્પણ કરી પીપળા પર પાણી રેડી અને પિતૃઓના આશીર્વાદ મેળવ્યાં હતા.
શ્રાવણી અમાસના દિવસે સંગમ ખાતે પ્રખર શિવ ઉપાસક અને શિવભક્તિના ભજનીક નિરંજન પંડ્યાએ પોતાના પિતૃઓનું તર્પણ વિધિવત કરાવ્યું હતું. તર્પણ બાદ તેમણે ત્રિવેણી સંગમના કિનારા પર ભગવાન શિવની આરાધના કરી હતી. સૌએ સાથે મળી ભગવાન સોમનાથનો જયજયકાર કર્યો હતો અને ત્રિવેણી સંગમને પણ શિવમય બનાવ્યું હતું.