1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતના દરિયાકાંઠે તાઉ-તે વાવાઝોડું તોફાન મચાવે તે પહેલા જ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું
ગુજરાતના દરિયાકાંઠે તાઉ-તે વાવાઝોડું તોફાન મચાવે તે પહેલા જ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું

ગુજરાતના દરિયાકાંઠે તાઉ-તે વાવાઝોડું તોફાન મચાવે તે પહેલા જ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું

0
Social Share

અમદાવાદ:  ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. આજે રવિવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બપોર બાદ અમદાવાદ સહિત ઘણાબધા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગુજરાતના 1600 કિમીના સમુદ્રી કાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કંડલામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. અને દરિયા કાંઠા વિસ્તારમાં રહેલા દોઢ લાખ લોકોનું મોડી રાત સુધી સ્થળાંતર કરી દેવાશે. દરિયો ગાંડોતૂર બન્યો છે. અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ચર્ચા કરીને સ્થિતિની સમિક્ષા કરી હતી. મુખ્યપ્રધાને કેન્દ્રીય ગૃહપ્રધાન સાથેની વીડીયો કોન્ફરન્સમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજજતાથી માહિતગાર કર્યા હતા.

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાના વહીવટી તંત્રને સાબદુ કરાયું છે. ગુજરાતના તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખી કોવિડ કેર સેન્ટર અને ઓક્સિજનના પુરવઠા વિષયે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં વિક્ષેપ રહિત વીજ પુરવઠા માટે સઘન આયોજન કરવામા આવ્યુ છે. ઓક્સિજનનો પુરવઠો અવિરત મળે તે માટે ક્રિટીકલ વૈકલ્પિક રુટ તૈયાર રખાયા છે. તાકીદની સ્થિતિમાં ઓક્સિજનના બફર સ્ટોકની પણ વ્યવસ્થા ગુજરાતે અગમચેતી રૂપે કરી છે. ગુજરાત રાજ્ય “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે “તાઉંતે” વાવાઝોડાનો સામનો કરવા સજ્જ છે, તેમ મુખ્યપ્રધાને જણાવ્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવિડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી છે. જો વાવાઝોડું ત્રાટકે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં  કોવીડ હોસ્પિટલોને “વીન્ડ પ્રૂફીંગ” બનાવવા માટેની તૈયારી સંદર્ભે જરુરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, જો સ્થિતિ વણસે તો તે સંજોગોમાં કોવિડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.  વાવાઝોડાને કારણે વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ, ઊર્જાપ્રધાન સૌરભ પટેલ રાજકોટમાં આવી ચૂક્યા છે અને અહીંથી જ PGVCL કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે. અહીં કોન્ટ્રાક્ટરોની ટીમ, જેટકો અને પીજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી છે. 291 PGVCLની અને 294 કોન્ટ્રાક્ટરોની ટીમના 2 હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે. વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 391 કોવિડ હોસ્પિટલ છે. આ તમામમાં બેકઅપ આપી દેવામાં આવ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code