
રાજકોટઃ શહેરના કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન મંદિર પાસે ટ્રક અને એસીડ ભરેલું ટેન્કર અથડાયા બાદ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કર આગનો ગોળો જ બની ગયું હતું. ટેન્કર ચાલક સળગતી હાલતમાં કુદકો મારતા લોકોએ તેને બચાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો પણ સારવાર દરમિયાન તેનું મોત નીપયું હતું. આ બનવાને પગલે ટ્રાફિક જામ સર્જાતા કુવાડવા પોલીસે ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી કરી હતી.તો બીજી તરફ ફાયરની ટીમે તાકીદે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. અકસ્માતનો ભોગ બનેલા ટેન્કરમાં હાઇડ્રોલિક એસિડ ભરેલું હોય અને અકસ્માત બાદ ટેન્કરમાં લિકેજ થતાં આ એસિડ બહાર આવવા લાગતા ફાયરની ટીમે ફોમનો મારો ચલાવી અંદાજિત બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જો સમયસર ફાયરની ટીમ આવી ન હોત તો ટેન્કર બ્લાસ્ટ થવાની પણ ભીતિ હતી
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન મંદિર પાસે ગત રાત્રીના ટ્રક અને ટેન્કર વચ્ચે ટક્કર થયા બાદ આગ ભભૂકી ઉઠતા ચાલકે સળગતી હાલતમાં કુદકો મારતા તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. બનાવને પગલે ફાયરબ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી જઈ આવ બુજાવી હતી. ટ્રાફિક જામ સર્જાતા પોલીસે દોડી જઈ ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતા રાણાવાવ રહેતા ટ્રક ચાલક છગન જીવાભાઈ મકવાણા(ઉ.વ 71) તથા તેમનો પુત્ર દેવજી (ઉ.વ 39) ટ્રકમાં સિમેન્ટ ભરી વાપી જતા હતા તે દરમિયાન સાત હનુમાન પાસે અમદાવાદથી આવતા ટેન્કર સાથે અકસ્માત થતા છગનભાઈ સળગતી હાલતમાં કુદકો મારતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આગની આ ઘટના બાદ તાકીદે અહીં પહોંચી ગયેલા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવીએ જણાવ્યું હતું કે, ટ્રક અને ટેન્કર વચ્ચે અથડામણ થઈ હતી તેમાં ટેન્કરમાં હાઇડ્રોલિક એસિડ ભર્યુ હોય અને આ અકસ્માત બાદ તેમાંથી આ એસિડ લીક થવા લાગતા આગ લાગી હતી.