
પીએમ મોદીએ બાલીમાં ભારતીય મૂળના લોકોને કહ્યું-અહીં આવીને એક અલગ જ અહેસાસ થાય છે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટ દરમિયાન બાલીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે,જે જગ્યા સાથે હજારો વર્ષોથી ભારતનો સંબંધ છે, જ્યાં સેંકડો પેઢીઓ વીતી ગઈ છે, પરંતુ જ્યાં લોકોએ પોતાની પરંપરાને જીવંત રાખી છે, ત્યાં આવીને એક અલગ જ આનંદ છે.પીએમ મોદીએ કહ્યું કે,ઘણી પેઢીઓ વીતી ગઈ પરંતુ તમે તમારી પરંપરાને ક્યારેય લુપ્ત થવા નથી દીધી.
પીએમ મોદીએ કહ્યું કે,આપણે ઘણીવાર વાતચીતમાં કહીએ છીએ કે આ એક નાની દુનિયા છે. ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોને લઈને આ વાત એકદમ સાચી છે.સમુદ્રના વિશાળ લહેરોએ ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધોને લહેરની જેમ ઉત્સાહથી ભરેલા અને જીવંત રાખ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું છેલ્લી વખત અહીં જકાર્તામાં હતો ત્યારે મેં ઈન્ડોનેશિયાના લોકોના સ્નેહને ખૂબ નજીકથી જોયો અને અનુભવ્યો હતો.રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે પતંગ ઉડાવવામાં મને જે મજા આવી તે અદ્ભુત હતી.
બાલીની ભૂમિ મહર્ષિ માર્કંડેય અને અગસ્ત્યની તપસ્યાથી પવિત્ર છે.ભારતમાં હિમાલય છે તો ઈન્ડોનેશિયામાં આગુંગ છે.જો ભારતમાં ગંગા છે, તો બાલીમાં તીર્થ ગંગા છે. અમે ભારતમાં દરેક કાર્યની શરૂઆત શ્રી ગણેશથી કરીએ છીએ. અહીં પણ દરેક ઘરમાં શ્રી ગણેશ બિરાજમાન છે.