વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષકો સાથે કર્યો ઈ- સંવાદ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોચતા અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા. તેમજ શિક્ષકો સાથે ઈ-સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન રાજભવન જવા રવાના થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. ત્યારબાદ વાલીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ
સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી તેને મોદીએ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. વડાપ્રધાને દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતુ. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસી વડાપ્રધાને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો. વડાપ્રધાન દ્વારા ટેક્નોલોજીની મદદથી શિક્ષકને અને વિદ્યાર્થીને કેટલો ફાયદો થયો તે અંગે સવાલો કર્યા હતા. આ ઉપરાંત ખેલકૂદ અંગે ટકોર કરતા કહ્યું હતું કે, ચાર્ટમાં ફિઝિકલ એક્ટિવિટી માટે કંઈ નથી. નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદ એકસ્ટ્રા એક્ટિવિટી નથી રહી’ પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના પોષણ પર પણ ભાર મૂક્યો હતો.
ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન દ્વારા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આવતી કાલે 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે વડાપ્રધાન જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે વડાપ્રધાન ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.


