
રાજકોટમાં માધાપુર ચોકડીથી પુનિતના ટાંકા સુધી લકઝરી બસોના પ્રવેશ પ્રતિબંધ સામે વિરોધ
રાજકોટઃ શહેરમાં વધતી જતી વસતીની સાથે ટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. બહારગામના લોકો પણ વસવાટ માટે શહેરમાં આવી રહ્યા છે. શહેરના દરેક રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. એમાંયે રાજ્યના તમામ નગરો અને મહાનગરોમાંથી ખાનગી લકઝરી બસ રાજકોટ આવતી-જતી હોય છે. અત્યાર સુધી તો જ્યારે દિવસ દરમિયાન લોકોને જવા આવવાનું થતું હોય ત્યારે શહેરના 150 ફૂટ રોડ પર આવેલી વિવિધ ટ્રાવેલ્સની ઓફિસેથી ટ્રાવેલ્સ બસો મળી રહેતી હતી. હવે સવારના આઠથી રાત્રિના નવ વાગ્યા દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ માધાપર ચોકડીથી લઈને 150 ફૂટ રોડ પર આવેલી પુનિતના ટાકા સુધી પ્રવેશ નહીં કરી શકે. જો કોઈ ટ્રાવેલ્સ ચાલક આ વિસ્તારમાં જાહેર કરાયેલા સમય દરમિયાન પ્રવેશ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી લકઝરી બસોને શહેરમાં પ્રવેશ બંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાવેલ્સોની ઓફિસો આવેલી છે. તેમજ આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વધુ રહેતી હોય, ટ્રાફિક વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને ગંભીર અકસ્માતો થવાની સંભાવના છે. જેને પગલે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા માધાપર ચોકડીથી પુનીત પાણીનાં ટાંકા સુધી સવારે 8થી રાત્રે 9 દરમિયાન ખાનગી લકઝરી બસો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ જાહેરનામાને લઇ ટ્રાવેલ્સ એસોસિએશનમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને આજે સોમવારે પોલીસ કમિશ્નરને રૂબરૂ રજૂઆત કરશે.
પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ વધતા જતાં ટ્રાફિકના કારણે જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે. વર્ષ 2015માં જે જાહેરનામું અમલમાં મુકાયું હતું. તેમાં ગોંડલ ચોકડીથી માધાપર ચોક સુધી ટ્રાફિક નહિવત હોવાથી ખાનગી બસોને અહીંથી અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ હાલ આ રોડ ઉપર ટ્રાફિક વધતા ટ્રાફિક સુચારૂ અને સલામત રીતે ચાલે તે માટે રાજકોટ શહેરમાં મોટી પ્રાઈવેટ લક્ઝરી બસો (એચ પીવી હેવી પેસન્જર વ્હીકલ) ઉપર 150 ફુટ રિંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીનાં ટાકા સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવેથી સવારના કલાક- 8થી રાત્રીના 9 વાગ્યા સુધી 150 ફુટ રિંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી પ્રાઈવેટ લકઝરી બસો (એચ.પી.વી. હેવી પેસન્જર વ્હીકલ) માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.
માધાપુર ચોકડીથી જામનગર જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો પુનીત પાણીના ટાંકાથી વાવડી રોડ, 80-ફુટ રોડથી નવા 150 ફૂટ રિંગ રોડથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે. અને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી નવા 150 ફુટ રિંગ રોડની કટારીયા ચોકડી, 80-કુટરોડ વાવડી રોડથી પુનીત પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી જઇ શકશે. આ અંગે ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનનાં પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ અમારી ઓફિસો લીમડા ચોક નજીક હતી. ત્યારબાદ સરકારનો આદેશ થતાં અમે આ ઓફિસો 150 ફૂટ રિંગરોડ ઉપર કરોડોનાં ખર્ચે ફેરવેલી હતી. અને હવે અચાનક કોઈપણ સમય આપ્યા વિના આ રોડ પર બસ લાવવાની મનાઈ કરવામાં આવી છે, જે યોગ્ય નથી.