વડોદરાના કારેલીબાગમાં વૈષ્ણવોની હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને સોંપવા સામે વિરોધ
વડોદરા : શહેરના કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને આપી દેવાનો મુદ્દે ટ્રસ્ટીઓ જ વિરોધ કરી રહ્યા છે. અને હવેલીના ટ્રસ્ટીઓ સહિત વૈષ્ણવોમાં ભારે નારાજગી વ્યાપી છે. સતત બીજા દિવસે વૈષ્ણવો હવેલી ખાતે ભેગા થઈને હવેલી અને તેમાં બિરાજમાન ઠાકોરજીનું સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડાય તેવી માંગણી કરી દેખાવો કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવો એકત્ર થયા હતા. અને માંગણી કરી હતી કે, કારેલીબાગ વૈષ્ણવ હવેલી જે 26 વર્ષથી દરેક વૈષ્ણવો ભાવપૂર્વક દર્શન કરીને ધન્ય થતા હતા. અચાનક મંદિરના કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા હવેલી સ્વામિનારાયણ મંદિરને સુપરત કરવા માટેનો મોટો સોદો થઈ ગયો છે. આ માટે વડોદરાના કારેલીબાગના વૈષ્ણવો આઘાતનો આંચકો લાગ્યો છે. હવેલી ફક્ત અને ફક્ત કારેલીબાગમાં જ રહે તેવી રજૂઆત કરવા દરેક વૈષ્ણવ મંદિરમાં સ્વયંભૂ ભેગા થયા હતા. આનો નિવડોના આવે ત્યાં સુધી વૈષ્ણવો ભેગા થશે. મુદ્દો વૈષ્ણવોની આસ્થા સાથે જોડાયેલો હોવાથી ભગવાનનું નાગદમન સ્વરૂપ અહીં જ રહેવું જોઇએ તેવી વૈષ્ણવો માગણી કરી રહ્યા છે. મહત્વની વાત એ છે. કે, હવેલીને અડીને આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા હવેલીની જમીન લેવા માટે પ્રપોઝલ મૂકવામાં આવતી હતી. વૈષ્ણવ હવેલી અને સ્વામિનારાયણ મંદિરમાં મોટાભાગે તહેવારો એક જ દિવસે આવતા હોવાથી વૈષ્ણવો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને પાર્કિંગથી માંડી અન્ય અસુવિધાઓ ઊભી થતી હતી. આખરે સ્વામિનારાયણના સંતો અને વૈષ્ણવ હવેલીના ટ્રસ્ટીઓ ભેગા થઈને કોર્પોરેશનમાં જોઈન્ટ પ્રપોઝલ મૂક્યું હતું. જેને મ્યુનિ.કોર્પોરેશને મંજૂર પણ આપી દીધી હોવાનું કહેવાય છે.મ્યુનિ. કોર્પોરેશન ગોવર્ધનનાથજી હવેલી માટે કારેલીબાગમાં જ બીજી જગ્યા આપવા સંમત થઈ છે, જેમાં 15 હજાર ચોરસ ફૂટ જગ્યા બજાર કિંમતે આપવાનું નક્કી થયું છે. પણ વૈષ્ણવો હાલમાં ઠાકોરનું નાગદમન સ્વરૂપ જ્યાં છે ત્યાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, હવેલી સ્થળાંતર કરવાની પ્રક્રિયામાં મેયર કેયુર રોકડીયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. કારણ કે મેયર કેયુર રોકડીયા પોતે વૈષ્ણવ ભક્ત છે. ત્યારે વૈષ્ણવ ભક્તો કેયુર રોકડીયાને પણ સવાલો પૂછી રહ્યા છે. મેયર કેયુર રોકડિયાએ આ વિવાદ અંગે જણાવ્યુ હતું કે, આ વિવાદ સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાય વચ્ચેનો મામલો છે. બે સંપ્રદાય વચ્ચેનો મામલો છે. આમાં કોર્પોરેશને માત્ર લીઝ ટ્રાન્સફરની પ્રોસેસ ટ્રાન્સફર રહે તેનુ ધ્યાન રાખવાનુ છે. બંનેના ધર્મગુરુ જે નિર્ણય કરે તેમાં મ્યુનિ.કોર્પોરેશનને નુકસાન ન થાય અને જે પ્રોસેસ કરવાની તે જ અમારી કામગીરી છે. મેયર તરીકેનો અમારો રોલ પ્રોસેસ પૂરો કરવાનો છે. હાલ નિર્ણય પેન્ડિંગ છે. યથાયોગ્ય નિર્ણય સરકારની સૂચના મુજબ કરીશું.