ઓપરેશન સિંદૂરનો અસલી હીરો રાફેલ: એર માર્શલ નાગેશ કપૂર
નવી દિલ્હી, 11ફેબ્રુઆરી 2026: ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે સમગ્ર વિશ્વને પોતાની સૈન્ય તાકાતનો પરચો આપ્યો છે. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામેની આ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાના રાફેલ લડાયક વિમાનોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, “રાફેલ આ ઓપરેશનનો અસલી હીરો હતો.”
એર માર્શલ નાગેશ કપૂરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન વારંવાર ભારતીય રાફેલ વિમાનોને તોડી પાડ્યાના ખોટા દાવા કરી રહ્યું છે. એર માર્શલે સ્પષ્ટ કર્યું કે, રાફેલ અને અન્ય જાંબાઝ પાઇલટ્સની મદદથી ભારતે સરહદ પાર સેંકડો આતંકીઓને ઠાર કર્યા હતા અને તેમના ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
ભારતીય વાયુસેના (IAF) આગામી 27 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજસ્થાનના પોખરણ રેન્જમાં ‘વાયુ શક્તિ 2026’ નામનો ભવ્ય યુદ્ધાભ્યાસ યોજવા જઈ રહી છે. આ કવાયતમાં રાફેલ, તેજસ, હેલિકોપ્ટર અને પરિવહન વિમાનો સહિત કુલ 120 થી વધુ વિમાનો ભાગ લેશે. આ કાર્યક્રમ સાંજે 5:10 થી રાત્રે 7:45 સુધી ચાલશે, જેમાં દિવસ, સંધ્યાકાળ અને રાત્રિ એમ ત્રણેય સ્થિતિમાં ઓપરેશનનું નિદર્શન કરાશે. તેમજ 24 ફેબ્રુઆરીએ ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાશે.
વાયુસેના પોતાની ક્ષમતા વધારવા માટે 114 નવા MRFA (મલ્ટી રોલ ફાઈટર એરક્રાફ્ટ) ખરીદવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલય 3.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 114 રાફેલ જેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે.
પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 7 મે 2025 ની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન પાકિસ્તાન સરહદની પાછળ છુપાયેલા આતંકીઓ સામેનો અત્યાર સુધીનો સૌથી મજબૂત અને સંતુલિત જવાબ ગણાય છે. આ ઓપરેશન બાદથી ભારતીય વાયુસેનાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.


