
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં આવેલા સુપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરના ભાતીગળ લોકમેળાનો 18મીને સોમવારે રંગેચંગે પ્રારંભ થયો હતો. ચાર દિવસ માટે યોજાતા આ મેળામાં ગામ-પરગામથી લાખો લોકો ઉમટી પડતા હોય છે. પણ આ વખતે લોકમેળાના પ્રારંભે વરસાદ વિધ્નરૂપી બન્યો છે. મેળાના પ્રથમ દિવસ વરસાદ વરસતા લોકો ભાતીગળ મેળાની મજા માણી શક્યા ન હતા. બીજી તરફ લાખો રૂપિયા ભરીને મેળામાં વેપાર કરવા આવેલા રાઈડ અને સ્ટોલધારકોની ચિંતામાં મુકાયા છે. તરણેતરના મેળાના મેદાનમાં લોકોની હકડેઠઠ મેદની જોવા મળતી હોય છે, ત્યાં વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજય જોવા મળ્યું હતું.
સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાનો સોમવારે રંગેચંગે પ્રારંભ થયો છે. મેળામાં ચકડોળ, ચકરડી, રાઈડ્સ, વિવિધ સ્ટોલ, ખાણીપીણી નાસ્તાના સ્ટોલ અને વિવિધ મનોરંજન આપતી નાની મોટી રમતો સહિત અનેક આકર્ષણ ઊભા કરાયા છે. મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા માટે આવ્યા હતા, ત્યાં જ વરસાદ શરૂ થયો હતો. એટલે લોકો મેળાની મોજ માણ્યા વિના જ ઘેર પરત ફર્યા હતા. અને મેળાના મેદાનમાં લોકોના બદલે કાદવ-કીચડનું સામ્રાજય જોવા મળ્યું હતું.
સોમવારે ત્રિનેત્રેશ્વર મંદિરે શંકર ભગવાનની પૂજા બાદ ભાતીગળ તરણેતર મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ રવિવારે મોડી રાતથી ખાબકી રહેલા મુશળધાર વરસાદની સાથે સોમવારે પણ વરસાદ પડતા ઘણાબધા લોકોએ મેળામાં આવવાનું ટાળ્યું હતું. મેળાના મેદાન પર કાદવ કિચડનું સામ્રાજ્ય જામ્યું હતુ. મેળાના પ્રથમ દિવસે ભારે વરસાદના પગલે મેળાની મજા બગડી હતી. લાખોના ખર્ચે પ્લોટ ભાડે લઈને દુકાન લેનારા લોકો આખો દિવસ લમણે હાથ દઈને બેસી રહ્યાં હતા. અને હવે આગામી બે દિવસ વરસાદ ન વરસે એ માટે મેઘરાજાને પ્રાથના કરી રહ્યા છે.