
અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવેલા પ્રવાસીની બેગમાંથી પાંચ લાખના દાગીના-રોકડની ચોરી
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથક એર ટ્રાફિકથી ધમધમતુ રહેતુ હોય છે. વિદેશથી રોજબરોજ હજારો પ્રવાસીઓ એરપોર્ટ પરથી આવાગમન કરતા હોય છે. ત્યારે વિદેશથી આવતા પ્રવાસીઓના માલ-સામાનની ચોરીના બનાવો પણ બની રહ્યા છે. વિદેશી પ્રવાસીની બેગમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. રાત્રે વિયેટજેટની ફ્લાઈટમાં મલેશિયાથી અમદાવાદ આવેલા એક પરિવારની બેગમાંથી ત્રણ દેશની કરન્સી, તેમજ સોનાના દાગીના સહિતનો કીમતી સમાન મળીને કુલ પાંચ લાખની ચોરી થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર ઊતરતા જ કન્વેયર બેલ્ટ પરથી બેગ હાથમાં આવી તો ખૂલેલી હતી અને તેમાંથી કીમતી સામાન ગાયબ હોવાની જાણ એરલાઇનને લેખિતમાં કર્યા બાદ પેસેન્જરે 100 નંબર કંટ્રોલ પર મેસેજ કરી પોલીસ બોલાવી હતી. સીઆઇએસએફની મદદથી પોલીસે ટર્મિનલમાં આવી એરલાઇનના સ્ટાફ સહિતનાનાં નિવેદન લઇ તપાસ શરૂ કરી હતી.
મલેશિયાથી આવેલા પ્રવાસી નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, ‘મલેશિયામાં મારી દીકરીની તબિયત બગડતાં પરિવાર સાથે વિયેટનામ પહોંચ્યો હતો જ્યાં મલેશિયામાં નવ બેગ ચેકઇન કરાવી હતી. શનિવારે અમદાવાદ આવ્યા પછી કન્વેયર બેલ્ટ પરથી સામાન લીધા બાદ સફેદ બેગ બેલ્ટ બહાર દેખાતા બેગ ચેક કરતાં ખબર પડી હતી કે, બેગમાંથી કીમતી સામાનની ચોરી થઈ છે. એરલાઈનને ફરિયાદ કર્યા પછી 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવાઈ હતી.
એરપોર્ટના સૂત્રે જણાવ્યું હતું કે, વિદેશથી આવતા પ્રવાસીઓની બેગમાંથી કીમતી સમાનની ચોરી થાય તો જે તે એરલાઇન મિસિંગ ડિક્લેરેશન લગેજ ફોર્મ ભરાવે છે. તે અમુક સમયસમય મર્યાદામાં ન મળે તો એરલાઇનને આપેલા ડિક્લેરેશન મુજબ વળતર આપવું પડે છે. પરંતુ આ ઘટનામાં પેસેન્જરે એરપોર્ટમાં પોલીસ બોલાવી દીધી હતી. પ્રવાસીએ પોતાની બેગમાં સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયાની 3 લાખની કરન્સી અને રૂ.50 હજાર ઈન્ડિયન કરન્સીની નોટો મૂકી હતી. જ્યારે 1.50 લાખની કિંમતનો સોનાનો દોરો પણ હતો.એવો દાવો પણ કર્યો છે. એરપોર્ટ પર ફલાઇટ આવે ત્યારે પેસેન્જરોનો તમામ લગેજ પહેલાં બેગેજ મેકઅપ એરિયામાં (બીએમએ) આવે છે ત્યાં એક સ્કેનર મશીનમાં બેગોનું સ્કેનિંગ કરી કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે. ત્યાં હાજર સ્ટાફને ખબર પડી જાય છે કે આ લગેજમાં કીમતી સામાન છે, ત્યારબાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇનના કર્મચારીઓની સંડોવણીથી આ બેગ ખોલીને કીમતી સામાન કાઢી લેવામાં આવતો હોય છે.