
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનામત નીતિનો ભંગ થતા હવે કરારી અધ્યાપકોની ભરતી 45 દિવસ માટે જ,
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 11 મહિના માટે અધ્યાપકોની ભરતીના મુદ્દે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ ભલામણ કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ ભરતીમાં અનામતની નીતિનું પાલન ન કરાતા વિવાદ ઊભો થયો હતો. 11 માસના કરાર આધારિત 56 પ્રોફેસરની ભરતી માટે ગુરૂવારથી ઈન્ટરવ્યૂ શરૂ થયા છે.. જેમાં અનામત નીતિનો છેદ ઉડતો હોવાની ફરિયાદ નીતિ આયોગમાં તથા અનુ. જાતિ આયોગે ઇન્ચાર્જ કુલપતિને નોટિસ ફટકરી હતી. જેથી હવે ઇન્ચાર્જ કુલપતિએ નિર્ણય બદલવો પડ્યો છે. અને આ ભરતી પ્રક્રિયામાં 11 માસને બદલે હવે 45 દિવસ માટે જ અધ્યાપકોની ભરતી થશે અને અધ્યપકોના 45 દિવસના જ ઓર્ડર કાઢવામાં આવશે, ત્યારબાદ ફરીથી ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેર એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 11 માસના કરાર ઉપર અધ્યપકોની ભરતી કરવાની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. જેમાં એસસી, એસટી અને ઓબીસી કોટાની અમલવારી નહીં થતી હોવાનું સ્પષ્ટ જણાઇ આવતા અનામત કોટાની અમલવારી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્વિકાર કર્યો હતો કે યુનિવર્સિટી દ્વારા અધ્યપકોની જાહેરાતમાં અનામત કોટાની અમલવારી થઇ નથી જે ખરેખર થવી જોઇએ. જેથી ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં માત્ર 45 દિવસના ઓર્ડર કાઢવામાં આવશે અને 45 દિવસ બાદ ફરીથી કરારી અધ્યાપકોની ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી પ્રોફેસરની ભરતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે 16 ભવનમાં ભરતી માટેના ઈન્ટરવ્યૂ લેવાયા હતા. પહેલીવાર યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જ્યાં ઈન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા તે મુખ્ય બિલ્ડિંગના તમામ ગેટ પણ બંધ કરી દેવાયા હતા અને સિક્યુરિટી બેસાડી દેવાઈ હતી. ભરતીનો વિરોધ કરવા કોઈ આવી ન શકે અને ઈન્ટરવ્યૂમાં ખલેલ ન પહોંચે તેથી આવું કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે કરારી પ્રોફેસરોની ભરતીના ઈન્ટરવ્યૂ લેવા માટે રાજ્યની નરસિંહ મહેતા યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટીના એક્સપર્ટ આવ્યા હતા. આ ઉપરાંત હાયર એજ્યુકેશનના જોઈન્ટ ડાયરેક્ટર સહિત ટોચના અધિકારીઓ પણ યુનિવર્સિટીમાં ઉપસ્થિત હતા ત્યારે જ બપોરે કુલપતિએ માત્ર 45 દિવસ માટે જ ભરતીના ઓર્ડર કરવાનો નિર્ણય કરતા ભરતીનો ફિયાસ્કો થયો હતો.