
- રાજ્યામાં કોરોનાનો કહેર યથાવત્
- ગુજરાત સરકાર આયુષ નિયામકે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપાયો સૂચવ્યા
- તમે પણ આ ઉપાયો અનુસરીને કોવિડ સામે સુરક્ષિત રહી શકો છો
નવી દિલ્હી: રાજ્યમાં હાલ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર આયુષ નિયામક દ્વારા કોવિડ-19ની હાલની સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે. આ ઉપાયોને અનુસરીને આપણે કોરોના સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીશું.
આ ઉપાયો અનુસરીને કોવિડ સામે સુરક્ષિત રહો
- દિવસભર ગરમ પાણી પીવું. કફ, શરદી, શ્વાસ અને કોવિડ સંબંધિત તકલીફ હોય તેમણે 1 ચમચી સૂંઠ, 2 લિટર પાણીમાં નાખીને 1 લિટર વધે ત્યાં સુધી ઉકાળવું. આ પ્રવાહી નવશેકું ગરમ દિવસભર લેવું વધુ હિતાવહ છે
- ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો- ગરમ ખોરાક લેવો જોઇએ. બાજરી અથવા ઘઉંના લોટને ઘીમાં શેકી અજમો, સૂંઠ, હળદર, ગોળ નાખી ગરમ રાબ પીવી
- રસોઈમાં હળદર, જીરું, ધાણાં અને લસણનો ઉપયોગ કરવો. બાફેલા મગનો વઘાર કરીને ગરમ સૂપ પીવો
- શાકભાજીમાં કારેલા, પરવળ, દુધી, કોળું, સરગવો, આદુ, હળદર, લસણ અને ફુદીનો લેવાં. ફળમાં પાકું પપૈયુ, દાડમ, પાકી કેરી, મોસંબી આમળા જેવા સુપાચ્ય ફળ લેવા જોઇએ
- સૂર્યોદય પહેલા જાગી જવું, નિયમિત અને પ્રમાણસર ઉંધ લેવી. જમીને ડાબા પડખે 30 મિનિટ સુધી વામકુક્ષિ આરામ કરવો
- ઘરમાં કરી શકાય તેવી હળવી કસરત જેવી કે, સૂક્ષ્મ વ્યાયામ કરવો. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) કરવો
- ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર 150 મિલી ગરમ દૂધમાં ઉમેરી દિવસમાં એક કે બે વાર લેવું. ઉકળતા પાણીમાં અજમો, ફૂદીનો નાખી નાસ લેવો.
- ગરમ પાણીમાં હળદર-મીઠુ નાખી કોગળા કરવા
- સૂર્યના કુણા તડકાનું સેવન કરવું. ઘર, સંસ્થાઓમાં કપૂર, ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણા અને ગાયનું ઘી નાખી ધુપ કરવો
- નસ્ય-બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘીના એક બે ટીપાં નાખવા
- ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો. ફીજનું ઠંડુ પાણી પીવુ નહી. વધુ ઠંડા પીણાં ન લેવાં. કફ વધારે તેવો શેરડીનો રસ, લસ્સી ન લેવાં. ફ્રીજનું ઠંડુ દૂધ, ઠંડી છાસ ન લેવી
- પચવામાં ભારે, તળેલા, મીઠાઇ, શ્રીખંડ, આથાવાળા, વાસી, ફ્રીજમાં રાખેલ તથા જંક ફુડ જેવા ખોરાકનો ઉપયોગ કરવો નહીં. લાંબા સમય સુધી ભુખ્યાં રહેવું નહીં. તેમજ ભૂખ કરતાં વધારે પ્રમાણમા જમવું નહીં
(સંકેત)