જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી
(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025 Renowned spiritual speaker Akhand Swami જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી હતી. આજે 30 ડિસેમ્બરને મંગળવારે આ મુલાકાત દરમિયાન સ્વામીજીએ રિવોઈ ન્યૂઝ પોર્ટલની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
મૂળભૂત રીતે યુનિવર્સિટી ઑફ શિકાગોમાંથી ન્યૂરોલોજીનો અભ્યાસ કર્યા બાદ ત્યાં પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. જોકે ત્યારબાદ ભારત આવ્યા પછી ધર્મકાર્ય અને સમાજસેવાને જીવનનું ધ્યેય બનાવી લીધું. અખંડ સ્વામીજી ગરીબોને નિઃશુલ્ક શિક્ષણ આપવું, અનાથાશ્રમ ચલાવવા, વ્યસન મુક્તિ માટે યુવાનોને પ્રેરિત કરવા જેવાં કામો દ્વારા સમાજસેવા કરી રહ્યા છે.

અખંડ સ્વામી હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પ્રેરણાદાયક પ્રવચનો આપીને યુવાનોને આધુનિક જીવનપદ્ધતિ દ્વારા આધ્યાત્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરે છે. તેઓ વિજ્ઞાન તથા આધ્યાત્મિકતાનું સાયુજ્ય કરીને યુવાનોને અને એ દ્વારા ભારતવાસીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
વિવિધ સોશિયલ મીડિયા ઉપર સક્રિય રહીને વિજ્ઞાન મારફત ધર્મ, અધ્યાત્મ તથા સનાતન પરંપરાઓનું માર્ગદર્શન આપનાર અખંડ સ્વામી વક્તા તેમજ લેખક તરીકે પણ લોકપ્રિય છે.


