અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સરકાર અને સંગઠનનું અભિવાદન કરવામાં આવ્યું
ગાંધીનગર, 13 માર્ચ, 2026 – ગુજરાતની ભાજપા સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરીને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાલીઓની આવક મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી રૂ. ૬.૦૦ લાખ કરવાના ઐતિહાસિક શિક્ષણલક્ષી નિર્ણય બદલ ગુજરાત પ્રદેશ ભાજપાના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગાંધીનગરના સેકટર-૧૭ સ્થિત ટાઉનહૉલ ખાતે ભવ્ય અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગ માત્ર અભિવાદનનો નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટેના આપણા સંકલ્પને નવી ઊર્જા આપવાનો અવસર છે. તેમણે વીર મેઘમાયા, ત્રિકમ સાહેબ, ઝાંઝરકાના સંત સવૈયાનાથ અને સંત રવિદાસ સહિતના દિવ્ય સંતોની પરંપરાને વંદન કરતા કહ્યું કે, સંતોએ સદીઓ પહેલા સામાજિક સમરસતા દ્વારા સમાજ ચેતના જગાવવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે અને તેમનું ચિંતન આજે પણ વિકાસની પ્રેરણા પૂરી પાડે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસમાં કોઇ પાછળ ન રહે અને વિકાસથી કોઇ વંચિત ન રહે તેનો કાર્યમંત્ર અપાનાવ્યો છે. મોદી સાહેબે દેશનો કાર્યકાળ સંભાળ્યો ત્યારે તેમના પહેલા જ પ્રવચનમાં કહ્યુ હતું કે તેમની સરકાર દલિત, પિડિત,વંચિત, છેવાડાના અને શોષિત સમાજના ઉત્કૃર્ષને પ્રાથમિકતા આપશે. વડાપ્રધાને આપેલા ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવા કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ અનેરો અને ભાવનાત્મક છે. સમાજના અગ્રણીઓની શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા વધારવા જે રજૂઆત હતી, તેને ભાજપા સરકારે વાચા આપી છે. આવકમર્યાદા રૂ.૬.૦૦ લાખ કરવાનો નિર્ણય લેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયથી રાજ્યના અંદાજિત ૯૭ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણના નવા દ્વાર ખુલશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અનુસૂચિત જાતિનો દીકરો કે દીકરી ડોક્ટર, એન્જિનિયર, મેડિકલ કે અન્ય ઉચ્ચ અભ્યાસમાં જાય ત્યારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેને જે લાભ મળે છે તેની માહિતી સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવી જોઇએ.
કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, વર્ષો સુધી જાતિવાદના નામે મલાઈ કોણે ખાધી? ચૂંટણી આવે ત્યારે સંવિધાનના નામે જુઠ્ઠું કોણ બોલે છે?, બાબાસાહેબને ચૂંટણીમાં હરાવવાનું ઘોર પાપ કોણે કર્યું હતું? બાબાસાહેબને ‘ભારત રત્ન’ ન આપીને તેમનું અપમાન કોણે કર્યું? તે જનતા જાણે છે. બીજી તરફ, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર સંવિધાનની હાથીની અંબાડી પર ગૌરવ યાત્રા કાઢીને બાબા સાહેબના મૂલ્યોનું સન્માન કર્યું હતું તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચોઃ ૪૦થી વધુ પાકોના વૈવિધ્ય સાથે ગુજરાત આજે દેશનું કૃષિ હબ બન્યું: જીતુ વાઘાણી
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝાએ જણાવ્યું હતું કે, ભાજપાની સરકાર દ્વારા લેવાયેલો આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ સુધી વધારવાનો ઐતિહાસિક નિર્ણય ભવિષ્યની પેઢીને નવી ઉડાન આપનારો છે.
ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ.કિરીટભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચન કરી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા અઢી લાખથી વધારીને ૬ લાખ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ભાજપા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને ખૂબ બહોળા પ્રમાણમાં લાભ મળશે.
આ પણ વાંચોઃ FIH મહિલા હોકી વર્લ્ડ કપ 2026: ભારત ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પહોંચ્યું
આ ભવ્ય અભિવાદન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રાજય સરકારના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમનભાઇ વાજા, રાજ્યકક્ષાના મંત્રીઓ શ્રીમતી મનિષાબેન વકિલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી ટુંડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઇ ગેડિયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી, પુર્વ મંત્રી રમણભાઇ વોરા, ગાંઘીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત અનુ. જાતિ સમાજના ભાજપાના ચૂંટાયેલા સભ્યો, વરિષ્ઠ અગ્રણીઓ, અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનના અગ્રણીઓ, આગેવાનો, ભાજપા કાર્યકર્તાઓ અને અનુસૂચિત જાતિ સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


