
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આજે તા. 8મી ઓક્ટોબરને શનિવારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરશે. આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભર પેટ ભોજન આપશે. અગાઉ પણ આ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર યોજના બંધ કરી દેવામાં આવી હતી. હવે પુનઃ આ યોજના શરૂ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે શનિવારથી મુખ્યમંત્રી દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવવામાં આવશે. આ યોજનાં શ્રમિકો અને તેમના પરિવારજનોને 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ કેન્દ્રો અમદાવાદ અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. આગામી સમયમાં રાજ્યભરમાં આ ફૂડ સેન્ટરો ખોલવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે જ્યાં 50થી વધુ શ્રમિક એક સાથે રહે છે ત્યાં ભોજનની હોમ ડિલિવરી પણ આપવામાં આવશે. જો કે, સરકાર હોમ ડિલિવરી કેવી રીતે કરશે, તે હજુ સ્પષ્ટ નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે, આ પહેલ હેઠળ આ યોજના પુઃ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના માત્ર શ્રમિક વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં ભોજનની યોજના શરૂ કરી હતી. જેમાં કામ કરતા શ્રમિકોને પૌષ્ટિક આહાર આપવાનું આયોજન હતુ. ભાજપ સરકારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું કાઉન્ટર શરૂ કર્યું હતું. જેમાં શ્રમિકોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળતું હતું. શ્રમિકોને આ યોજના હેઠળ રોજ ભોજનમાં અલગ-અલગ વસ્તુઓ મળતી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, માત્ર ગુજરાત નહીં પણ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની જાહેર કરાઇ છે. તમિલનાડુમાં અમ્માનું રસોડું ખૂબ જ લોકપ્રિય છે. અહીં પણ લોકોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળે છે. સામાજિક કાર્યકર અનૂપ ખન્ના દિલ્હીમાં દાદીના રસોડામાં એક સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ દિલ્હી-એનસીઆરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન મળે છે.( FILE PHOTO)