ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તા. 23મી ફ્રેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કાલે 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટેનું બજેટ રજુ કરશે. ગત વર્ષે રાજય સરકારના વાર્ષિક બજેટનું કુલ કદ રૂા.2,43,956 કરોડનું હતું. જયારે આ વખતે રાજય સરકારના વર્ષ 2023-24ના બજેટનું કુલ કદ સંભવત: રૂા.2.74 કે 2.75 લાખ કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે ગુરૂવારે રાજયપાલનાં સંબોધન સાથે પ્રારંભ થશે. રાજય સરકારે પ્રથમ જ દિવસે પેપરલીક વિધેયક રજુ કરીને કોંગ્રેસ દ્વારા ઉઠાવાનારા સંભવિત મુદ્દાની હવા કાઢી નાખવાની રણનીતિ અપનાવી છે. સામાન્ય રીતે પ્રથમ દિવસે કોઈ સરકારી વિધેયક રજુ કરવામાં આવતા નથી પરંતુ આ વખતે પ્રથમ જ વખત સરકાર પેપરલીક વિધેયક પેશ કરી દેવાશે. પેપરલીક મામલે ભીંસમાં રહેલી સરકાર વહેલીતકે તેને કાયદાનું સ્વરૂપ આપવા માંગે છે. સુચિત કાયદામાં દોષિતોને 7 થી 10 વર્ષની સજા, એક કરોડનો દંડ, પ્રોપર્ટી જપ્ત કરવા સહિતની આકરી જોગવાઈઓ સામેલ છે. વિધેયકનો મુસદ્દો આપતા પૂર્વે જ ધારાસભ્યોને આપવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના નવા નાણાંકીય વર્ષનુ બજેટ શુક્રવારે રજુ કરાશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજુ કરશે. આ વખતનું બજેટનુ કદ પોણા ત્રણ લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.કેન્દ્ર સરકાર તરફથી મળતા ટેકસનાં હિસ્સામાં 14 ટકાના દરે વૃધ્ધિની યોજના ખત્મ થઈ છે એટલે સરકાર દ્વારા આવકના સ્ત્રોત માટે કેવી દરખાસ્તો કરવામાં આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. બજેટમાં સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવા ઉપરાંત પ્રાકૃતિક ખેતી સહીતના ક્ષેત્રો માટે લાંબા ગાળાની યોજના જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને પ્રાધાન્ય આપીને તેના માટે મોટી ફાળવણી થવાનું માનવામાં આવી રહ્યું છે. નાણામંત્રી ગુજરાત સરકારનું જે વાર્ષિક બજેટ રજુ કરશે તેમાં ભારત સરકાર દ્વારા ગુજરાતમાંથી વસુલાતા વિવિધ વેરામાંથી રાજયને હિસ્સાની પેટે રૂા.35525 કરોડનો પણ સમાવેશ કરાશે. જે વર્ષ 2022-23ના વર્ષમાં ગુજરાતને કેન્દ્રીય વેરામાંથી હિસ્સા પેટે મળેલા રૂા.31,851 કરોડ કરતાં 3674 કરોડ વધુ હશે. સામાન્ય રીતે રાજય સરકાર દ્વારા જયારે બજેટ તૈયાર રજૂ કરાય છે ત્યારે તે બજેટ મુજબની આવક સરકાર કયાંથી મેળવશે? તે અત્યંત મહત્વનું પાસું હોવાથી ભારત સરકારપાસેથી તેના વેરામાંથી ગુજરાતને મળવાપાત્ર આ રકમ, ગુજરાતના આગામી બજેટમાં મહત્વનો ભાગ સાબીત થશે.