ઠંડીની વિદાય અને ઉનાળાનું ધીમા પગલે આગમન, 17 શહેરોમાં 30 ડીગ્રીથી વધુ તાપમાન
અમદાવાદઃ શિયાળીની વિદાય અને ઉનાળાનું આગમન ધીમા પગલે થઈ ગયુ છે. રાજયભરમાં બપોરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાતના સમયે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. આમ બે ઋતુને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગના કહેવા મુજબ એકાદ સપ્તાહ બાદ તાપમાનમાં વધારો થશે. એટલે કે અઠવાડિયા બાદ પંખા-એસી ચાલુ કરવાની ફરજ પડશે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વહેલી સવારે ભેજવાળા વાતાવરણના કારણે ગરમીમાં રાહત રહે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે તાપમાનનો પારો ઊંચે ચડી જાય છે અને ઉનાળાની સીઝન નો પ્રારંભ નજીકના દિવસોમાં થવાનો હોય તેના એંધાણ મળી રહ્યા છે રાજ્યના 17 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 34.2 ડિગ્રી નોંધાયુ હતુ. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે 33.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.તેમજ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી નલિયા ડીસા કંડલા ભાવનગર પોરબંદર વેરાવળ કેશોદ અમદાવાદ ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર વડોદરા અને સુરતમાં પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે સામાન્ય ગરમી એમ બે ઋતુ અનુભવાઈ રહી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને આગામી ચાર દિવસમાં લઘુતમ તથા મહત્તમ તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી જેટલો ઊંચે ચડશે. એટલે કે, તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આમ ગરમીનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.