1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યામાં બે દાયકામાં 2.74 લાખથી વધી 8.66 લાખ પર પહોંચી
રાજ્યમાં લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યામાં બે દાયકામાં 2.74 લાખથી વધી 8.66 લાખ પર પહોંચી

રાજ્યમાં લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યામાં બે દાયકામાં 2.74 લાખથી વધી 8.66 લાખ પર પહોંચી

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ‘ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન’(ફોગવા) દ્વારા તા.26 થી 28 દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022’ને ખૂલ્લો મૂકતા જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે વધીને આજે 8.66 લાખે પહોંચી છે

આ પ્રસંગે દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં 38 ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં 50 ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે વધીને આજે 8.66 લાખે પહોંચી છે. એટલું જ નહીં, ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન 2.27 લાખ કરોડ હતું, જે આજે વધીને 16.19 લાખ કરોડને આંબી ગયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટેક્ષટાઈલ વિવિંગ ઉદ્યોગ ગુજરાતના કુશળ અને બિનકુશળ લોકોને ખૂબ મોટા પાયે રોજગારી આપે છે, ત્યારે પોતાની મૂળભૂત સમસ્યાઓ અંગે સંબંધિત વ્યાપારી વધુ માહિતગાર હોય છે એ વાતથી આ સરકાર સુપરિચિત છે, જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર લોકસમસ્યાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી નીતિનિર્માણને પ્રાધાન્ય આપે છે. કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે,

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં જ્યારે અમેરિકા જેવી મહાસત્તા કોરોના સામે ઘૂંટણીયે પડી ગઈ હતી, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે માઈક્રોપ્લાનિંગ કરી જનતા અને ઉદ્યોગકારો-વ્યાવસાયિકોને મુશ્કેલીનો અનુભવ થવા દીધો ન હતો. ગરીબ મધ્યમવર્ગને નિ:શુલ્ક અન્ન, ફ્રી વેક્સીન, લઘુ-મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવાની યોજનાઓ કેન્દ્ર સરકારે લાગુ કરી જેનો લાભ લાખો જરૂરિયાતમંદોએ મેળવ્યો છે.

પ્રાકૃત્તિક ખેતીમાં ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વ લઈ રહ્યું છે,ત્યારે ગાયના ગોબરમાંથી ગેસ, લિક્વિડ (સ્લરી) ઉત્પાદન માટે રાજ્ય સરકાર નાણાકીય સહાય આપે છે. કૃષિ ઉત્પાદનોના વધુ પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ખેડૂતો વેલ્યુ એડિશન અપનાવે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા 20 કરોડ તિરંગા પૈકી સુરતની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીએ 7.5 કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code