Homeગુજરાતીનવા ભારતમાં રમતવીરો ઉપર ચંદ્રકનું દબાણ નથી, પરંતુ શ્રેષ્ઠ પરફોર્મન્સની અપેક્ષા છેઃ...

નવા ભારતમાં રમતવીરો ઉપર ચંદ્રકનું દબાણ નથી, પરંતુ શ્રેષ્ઠ પરફોર્મન્સની અપેક્ષા છેઃ PM મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં જઇ રહેલા ભારતીય પેરા-એથલેટ્સના દળ અને તેમના પરિવારજનો, વાલીઓ અને પેરા એથલેટ્સના કોચ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો.  આ પ્રસંગે તેમણે અત્યાર સુધીમાં સૌથી મોટી પેરાલિમ્પિકના રમતવીરોની ટીમનો શ્રેય ખેલાડીઓના સખત પરિશ્રમને આપ્યો હતો. તેમજ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત નવો ઈતિહાસ રચશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આજે નવું ભારત તેના રમતવીરો પર ચંદ્રકનું દબાણ નથી કરતું પરંતુ તેમની પાસેથી શ્રેષ્ઠ પરફોર્મન્સની અપેક્ષા રાખે છે. દેશ દૃઢપણે રમતવીરોની સાથે છે અને તેઓ ભલે જીતી શકે કે ના જીતી શકે પરંતુ તેમના પ્રયાસોમાં સતત સાથે જ છે. આપણા ગામડાંઓ અને દૂરસ્થ સ્થળોમાં ભરપૂર કૌશલ્ય ભરેલું છે અને પેરા એથલેટ્સનું આ દળ તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.  આપણે આપણા યુવાનો અંગે વિચાર કરવાનો છે અને તેમને તમામ સંસાધનો તેમજ સુવિધાઓ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનું છે. આ વિસ્તારોમાં ચંદ્રક જીતવાની ક્ષમતાઓ ધરાવતા સંખ્યાબંધ યુવા ખેલાડીઓ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થાનિક કૌશલ્યોને સ્વીકૃતિ આપવા માટે, 360 ખેલો ઇન્ડિયા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આ કેન્દ્રોની સંખ્યા વધારીને 1000 કરવામાં આવશે. રમતવીરોને ઉપકરણો, મેદાનો અને અને અન્ય સંસાધનો તેમજ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. દેશ પોતાના રમતવીરોને ખુલ્લા દિલથી મદદ કરી રહ્યો છે. દેશે રમતવીરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડી છે અને ‘ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના’ દ્વારા લક્ષ્યો નક્કી કર્યાં છે.

ભારતમાં 9 રમતોમાંથી 54 પેરા એથલેટ્સ ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત તરફથી અત્યાર સુધીમાં પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારું આ સૌથી વધારે ભારતીય ખેલાડીઓનું દળ છે.

 

સંબંધિત લેખો

Most Popular