
કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન, વતનમાં કાલે અગ્નિ સંસ્કાર કરાશે
ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિસ જોશિયારાનું આજે 69 વર્ષની વયે નિધન થયું હતું. ડો. જોશિયારાબે મહિનાથી કોરોના સંક્રમિત હતા. ભાજપના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના નિધન બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે.
ડો.અનિલ જોષીયારા કોરોનાથી સંક્રમિત થયા બાદ એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભિલોડા મતક્ષેત્રના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલે સદગતને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું છે કે સ્વ. ડો. અનિલ જોષીયારા એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે હંમેશાં યાદ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલાં દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના પણ રાજ્યપાલએ વ્યક્ત કરી છે.
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના ચન્નઈ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધનની ગૃહમાં નોંધ લેવામાં આવી છે. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ગૃહમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભામાં મૌન પાડી ગૃહ મુલતવી રાખવાની વાત કરી હતી. ત્યારબાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસની દરખાસ્તને ટેકો આપ્યો હતો. ગૃહમાં શોક સંદેશો મોકલી, બે મિનીટનું મૌન પાળી ગૃહની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. ડો. જોશિયારાના આવતી કાલે તેમના વતનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
નોંધનીય છે કે, કોરોનાની લાંબી સારવાર બાદ ધારાસભ્યનું નિધન થયું. ડૉક્ટર અનિલ જોશિયારા જાન્યુઆરી મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમની ચેન્નઈમાં સારવાર ચાલી રહી હતી. લાંબી સારવાર બાદ આજે બપોરે એક વાગ્યા આસપાસ તેમનું નિધન થયું. પાંચ ટર્મથી અનિલ જોશિયારા અરવલ્લીના ભિલોડાથી ધારાસભ્ય હતા. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર આપવામાં આવી.