
રસીકરણ અભિયાનઃ પાટણમાં બે દિવસમાં 15થી 18 વર્ષના 70 ટકા કિશોરોને રસી આપીને સુરક્ષિત કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલ સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. પાટણમાં રસીકરણને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન બે દિવસમાં પાટણના 15થી 18 વર્ષના 70 ટકા બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લામાં કોરોનાના કેસ આવે તે પૂર્વે તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રની બેઠક મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સોમવાર-મંગળવાર સુધીમાં જિલ્લાના 70 ટકા કિશોરોને કોરોના વિરોધી રસી આપી દેવામાં આવશે. આટલું જ નહીં, પાટણના ઘારપુરમાં ઓમિક્રોન વેરિએન્ટ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્રની બેઠકમાં સાંતલપુરને 2022માં CCTVથી સજ્જ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સંક્રમણની સ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને સરકારી કચેરીઓમાં મજૂરી વિના મુલાકાતીઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જે અનુસંધાને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ કામ અર્થે આવતા અરજદારો અને મુલાકાતીઓએ કોરોના વિરોધી રસીના બન્ને ડોઝ પૂર્ણ કર્યા છે કે કેમ? તેની તપાસ થયા બાદ જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
(PHOTO-FILE)