યેદિયુરપ્પાએ ભાજપના અગ્રણી નેતાઓને 1800 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં પ્રચાર-પ્રસાર યુદ્ધ ખેલાય રહ્યું છે. અને એક બીજા સામે કાદવ ઉછાળતા આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો ચાલી રહ્યો છે આજે શુક્રવારે કોંગ્રેસે ભાજપ સામે આક્ષેપ કર્યો હતો. કે, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ તત્કાલિન સમયે ભાજપના નેતાઓ રાજનાથસિંહ, અરૂણ જેટલી, અને નીતિન ગડકરી સહિત ઘણાબધા નેતાઓને લાંચ આપી હતી. ભાજપાના મોટા નેતાઓ સામે રૂ. 1800 કરોડ રૂપિયાની લાંચ લેવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો હતો. દેશમાં લોકપાલના ગઠન બાદ ભાજપના નેતાઓએ લાંચ લીધાનો કદાચ આ પ્રથમ કેસ બનશે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં ભાજપ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કર્ણાટકના ભાજપના તત્કાલિન મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ભાજપના જ નેતાઓને રૂપિયા 1800 કરોડ આપ્યા હતા. અમારી પાસે પુરાવા છે. સુરજેવાલેએ યેદિયુરપ્પાની ડાયરીનો ઉલ્લેખ પણ કર્યો હતો. અને કહ્યું હતું કે, યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રીપદે હતા ત્યારે ભાજપના નેતાઓને કરોડો રૂપિયા લાંચપેટે આપ્યા હતા. સુરજેવાલેએ કારવાંના રિપોર્ટના હવાલાથી કહ્યું કે, વડાપ્રધાન મોદી સહિત તેમના કેબિનેટના તમામ મંત્રીઓ પર 1800 કરોડ રૂપિયાની લાંચનો આરોપ છે. આ એ લોકો છે જે દેશ ચલાવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, યેદિયુરપ્પાની ડાયરી અનુસાર 2690 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી પરંતુ ભાજપના અગ્રીણી નેતાઓને 1800 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા ત્યારે યેદિયુરપ્પા તે સમયે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા.