
અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીને લીધે લોકોમાં હીટસ્ટ્રોકથી લઈને બીમારીના કેસો પણ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા છે. જેમાં 70થી વધુ લોકોએ હાઈફીવર હોવાથી 108 મારફત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હતી.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી તો તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી જતાં તેમજ રાતનું તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહેતા લોકોની હાલત કફોડી બની છે. અસહ્ય ગરમીને લીધે હીટસ્ટ્રોક સહિત વાયરલ બિમારીના કેસો પણ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં 70થી વધુ લોકોને હાઈફીવરને કારણે હોસ્પિટલમાં સારવાર માટડે ખસેડવા પડ્યા છે. આ ઉપરાંત હીટસ્ટ્રોકના બનાવો પણ વધી રહ્યા છે. મ્યુનિના આરોગ્ય વિભાગે પણ ગરમીથી બચવા લોકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
અમદાવાદનુ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી જતા શહેરીજનો સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહયા છે. કેટલાક દિવસથી સતત ચોવીસ કલાક લોકોને પંખા કે એરકન્ડીશન ચાલુ રાખવા પડે છે. કાળઝાળ ગરમીના પ્રકોપથી બાળકથી લઈ અબાલવૃધ્ધ સુધીના સૌ ત્રસ્ત બની ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જુદી-જુદી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી સંબંધિત બિમારી અંગે 106થી વધુ દર્દીઓને સારવાર આપવામા આવી છે. ઉપરાંત ગરમી સંબંધિત બિમારી જેવી કે પેટમાં અસહય દુખાવો થવો, ઊલટી કે ડાયેરિયા થવા, હાઈફીવર અથવા તો સર્વાઈકલ હેડેક જેવી તકલીફને લઈ સારવાર મેળવવા 108ની પણ શહેરીજનો મદદ લઈ રહયા છે. 15 મેથી 22 મે-24 સુધીમાં 108 મારફત 208 લોકોને વિવિધ હોસ્પિટલમાં ગરમી સંબંધિત બિમારી અંગે સારવાર આપવામાં આવી હતી.22 મેના રોજ ચકકર આવતા મૂર્છીત થઈ પડી જવાનો પણ એક બનાવ બનવા પામ્યો હતો.