Site icon Revoi.in

મણિપુરમાં 3 ઉગ્રવાદીઓની હથિયારો સાથે કરાઈ ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ મણિપુરમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનો સામે ચાલી રહેલા સર્ચ ઓપરેશનના ભાગ રૂપે, સુરક્ષા દળોએ રાજ્યના ત્રણ જિલ્લાઓમાંથી ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠન કાંગલેઇપાક યાવોલ કન્ના લુપના સક્રિય સભ્યની કાકચિંગ જિલ્લાના ઉમાથલ બજાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, આ જ સંગઠનના અન્ય સભ્યની પણ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના માયાંગ ઇમ્ફાલ પોલીસ સ્ટેશન વિસ્તારના મામંગ લેઇકાઇમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ સભ્ય પર થૌબલ, કાકચિંગ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ખંડણી, અપહરણ અને નવા કેડરની ભરતી જેવા ગંભીર આરોપો છે. પોલીસે તેની પાસેથી 9 મીમી પિસ્તોલ અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.

આ ઉપરાંત, બિષ્ણુપુર જિલ્લાના ફોગાકાચાઓ-ઇખાઈ અવાંગ લેઇકાઇમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલેઇપાકના સક્રિય સભ્યની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2023 માં મણિપુરમાં મેતેઈ અને કુકી આદિવાસી સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી ત્યારથી, સુરક્ષા દળો સતત શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 260 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. રાજ્યમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી 2024 ના રોજ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા પછી, રાજ્ય વિધાનસભા સ્થગિત કરવામાં આવી હતી, જોકે તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો.