Site icon Revoi.in

ગુજરાત ATSએ પકડેલા 3 આતંકવાદીઓને કેમિકલથી હુમલો કરવાનો પ્લાન હતો

Social Share

 અમદાવાદઃ ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણ આતંકીવાદીઓને  ઝડપી પાડ્યા છે. આતંકીઓ કોઈ હુમલો કરે તે પહેલા એટીએસએ દબોચી લીધા હતા,ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતો. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંતથી પ્રભાવિત હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે, ત્રણ આંતકી પકડાયા જેમાં એક હૈદરાબાદનો રહેવાસી છે, જેનું નામ અહેમદ મોઈનઉદ્દીન સૈયદ છે. આતંકવાદી પ્રવૃત્તિ ધરાવતો માણસ છે. તે દેશમાં કોઈ મોટી આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો છે અને તેના ભાગરૂપે કોઈ કામે તે ગુજરાત પણ આવ્યો છે, તેવી માહિતી મળી હતી. આ માહિતી મળતાં ઘણી બધી ટીમો બનાવવામાં આવી હતી. તેની ટેક્નિકલ ઇન્ફોર્મેશન પર કામ કરવામાં આવ્યું હતું. તે હથિયાર કલેક્ટ કરવા ગુજરાત આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જો કે, તે હથિયારો લઈ પરત હૈદ્રાબાદ જાય તે પહેલા જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 40 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું છે.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, હૈદ્રાબાદનો રહેવાસી ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો આતંકવાદી ગુજરાતમાં હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે. જેના આધારે એટીએસની ટીમે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ કરતા અમદાવાદ-મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તલાશી લેતા તેમાંથી ડો. સૈયદ મળઈ આવ્યો હતો. તેના કબજામાંથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ તથા 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટર ઓઈલ મળી આવ્યું હતું.

એટીએસની ટીમ ડો. અહેમદ મોહ્યુદ્દીનને ઓફિસ પર લાવી વધુ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેને હથિયારો કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી મેળવ્યા હોવાની માહિતી આપી હતી. ‘અબુ ખાદીજા’ નામનો એક વ્યકિત તેનો સહાયક હોવાની વિગતો મળી છે. ડો. અહેમદના જણાવ્યા મુજબ અબુ ખાદીજા અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને ISKP સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત તે ઘણા પાકિસ્તાનીઓના સંપર્કમાં છે. અહેમદ મોહિઉદ્દીન સૈયદ એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે ખૂબ જ શક્તિશાળી ઝેર બનાવી રહ્યો હતો. જેના માટે આ વ્યક્તિએ જરૂરી સંશોધન, સાધનો, કાચા માલની ખરીદી અને પ્રારંભિક રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી.

ડો. અહેમદ સૈયદને હથિયારો પહોંચાડનાર શખસોની એટીએસની ટીમે તપાસ શરૂ કરતા બનાસકાંઠાનું લોકેશન મળ્યું હતું.કલોલના કબ્રસ્તાન સુધી હથિયારો પહોંચાડનારા યુપીના બે આતંકી આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલને બનાસકાંઠાથી દબોચી લેવાયા હતા. આતંકવાદી માનસિકતા ધરાવતા આ બંને ઈસમોએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લીધા હતા. આ લોકોએ લખનૌ, દિલ્હી અને અમદાવાદના ઘણા સંવેદનશીલ સ્થળોએ રેકી કરી હતી. હથિયાર બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ લોકોને તેનો નેતા પાકિસ્તાન સરહદથી ડ્રોન દ્વારા મોકલે છે.