
દેશના ઈઝરાઈલ સાથેના સંબધોના 30 વર્ષઃ પીએમ મોદીએ કહ્યું ‘અમારી મિત્રતા નવો કીર્તિમાન સર્જશે’
- પીએમ મોદીએ ઈઝરાયલ સંબંધોને લઈને વીડિયોમાં આપ્યો સંદેશ
- કહ્યું, પરસ્પર અમારી મિત્રતા નવો કીર્તિમાન સર્જશે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે ભારત-ઈઝરાયેલ સંબંધોને વધુ આગળ લઈ જવા અને નવા લક્ષ્યો નક્કી કરવા માટે આનાથી વધુ સારો સમય કોઈ હોઈ શકે નહીં. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે વિશ્વમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારોને જોતા બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોનું મહત્વ વધી ગયું છે.
પીએમ મોદીએ કહ્યું કે, આપણા બન્ને દેશો વચ્ચે સદીઓથી ગાઢ સંબંધ છે. જેમ કે ભારતનો સ્વભાવ છે, સેંકડો વર્ષોથી આપણો યહૂદી સમુદાય ભારતીય સમાજમાં કોઈપણ ભેદભાવ વિના સુમેળભર્યા વાતાવરણમાં રહે છે અને વિકાસ પામી રહ્યો છે. તે જ સમયે, તેમણે અમારી વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમણે ઈઝરાયલના સંબંધો વિશે વધુમાં કહ્યું કે આજે જ્યારે વિશ્વમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે ત્યારે ભારત-ઈઝરાયેલ સંબંધોનું મહત્વ વધી ગયું છે. પરસ્પર સહકાર માટે નવા લક્ષ્યો નક્કી કરવા માટે આનાથી વધુ સારો પ્રસંગ કયો હોય, જ્યારે ભારત આ વર્ષે તેની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે અને ઈઝરાયેલ આવતા વર્ષે તેની 50મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવાનું છે.