Site icon Revoi.in

ધોરણ 10 પછીના ડિપ્લોમામાં પ્રવેશનો ક્રેઝ વધતા ITIમાં 52 ટકા બેઠકો ખાલી રહી

Social Share

અમદાવાદઃ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ડિપ્લામા ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓમાં તેમજ આઈટીઆઈમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વખતે ધોરણ 10ના ઊંચા પરિણામને લીધે વિદ્યાર્થીઓમાં ડિપ્લોમામાં પ્રવેશનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જ્યારે આઈટીઆઈની 50 ટકાથી વધુ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છની 145 જેટલી આઈટીઆઈમાં એપ્રિલથી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આ વર્ષે સૌરાષ્ટ્રની આઈટીઆઈમાં કુલ 39 હજાર જેટલી બેઠકોમાંથી 18,500 જેટલી બેઠકો ભરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બાકીની બેઠકો હજુ ખાલી હોવાની સ્થિતિ છે. આવી સ્થિતિ રાજ્યની તમામ આઈટીઆઈ કોલેજોની છે, જો કે પ્રવેશ પ્રક્રિયા હજુ આગામી તારીખ 30 જૂન સુધી ચાલવાની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ-10માં ઊંચા રિઝલ્ટના કારણે વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ અથવા ડિપ્લોમા તરફ વળી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેથી જ આઈટીઆઈમાં વિદ્યાર્થીઓના એડમિશનનો રસ ઘટતો જાય છે. આઈટીઆઈમાં રોજગારી અને સ્વરોજગારી એમ બે પ્રકારે નોકરી મળી શકે તેમ છે. ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, પ્લમ્બર અને કાર્પેન્ટરના કોર્સમાં જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે તેઓ પોતે જ પોતાની રીતે સ્વરોજગારી મેળવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે, બોર્ડના પરિણામો ઊંચા આવતા હવે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન અથવા તો ડિપ્લોમા કોર્સ તરફ વળ્યા છે. જેને કારણે આઈટીઆઈમાં એડમિશન માટેનો પ્રવાહ ઘટતો જાય છે. આ વખતે ઇલેક્ટ્રિકલ વ્હિકલ અને સોલાર ટેક્નિશિયન એમ નવા બે કોર્સ શરૂ કરવામાં આવેલા છે. જે માટે જિલ્લા મુજબ આવેલી ડિમાન્ડના આધારે 468 બેઠક ફાળવવામાં આવી છે. જે તમામ વિગતો itiadmission.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જે વેબ સાઇટ પરથી જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. હાલ ઘરે ઘરે સોલાર લાગી રહ્યા છે અને સોલાર પાર્કનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તે માંગને આધારિત સોલાર સંબંધિત કોર્સ થઈ રહ્યા છે.

હાલ આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ વ્હિકલ અને સોલાર ટેક્નિશિયન ઉપરાંત રેફ્રિજરેશન, એર કંડિશનિંગ, મરિન એન્જિનિયરિંગ, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હિકલ, સોલાર ટેક્નિશિયન જેવા વિવિધ કોર્સમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન ડિમાન્ડિંગ છે તેવા ઈલેક્ટ્રિશિયન, ટર્નર, ફિટર, વેલ્ડર, કાર્પેન્ટર અને પ્લમ્બર જેવા કોર્સમાં ધોરણ 8 અને 10 પાસ પર એડમિશન થઈ રહ્યા છે. આ પ્રકારના કોર્સ કરીને પણ વિદ્યાર્થી સ્વરોજગારી મેળવી શકે છે.