ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: હાઈવે પર ખાસ કરીને રાતના સમયે વાહનોમાં પશુઓની હેરાફેરી થતી હોય છે. ત્યારે અડાજલ નજીક મહેસાણા હાઈવે પર રાત્રે ફશુ ભરેલુ પીકઅપ ડાલુ (ટેમ્પો) પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પીકઅપ ડાલામાં લાકડાના પાટિયા વડે બે માળ બનાવી 27 જેટલા પાડા-પાડીઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. જે પૈકી 6 પશુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં ગૌરક્ષકો અને પીકઅપવાનના ચાલક વચ્ચે ઘર્ષણ સર્જાતા અડાલજ પોલીસ દોડી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, અડાલજ નજીક મહેસાણા હાઇવે પર મોડી રાતે એક એક પીકઅપ ડાલામાં ક્રૂરતાપૂર્વક પશુઓને બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણસર પીકઅપ ડાલાના ચાલકે કાબુ ગુમાવી દેતા ડાલુ પલટી ગયું હતું. આ અકસ્માતમાં છ પશુઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. દરમિયાન બનાવની જાણ થતા ગૌરક્ષકો સ્કોડા કાર લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા. બાદમાં ગૌરક્ષકો અને પીકઅપ ડાલાના ચાલક ક્લીનર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોત જોતામાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. જેની જાણ થતાં જ અડાલજ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલક અને ક્લીનરને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પિકઅપ ડાલામાં ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા વગર પશુઓને ગીચોગીચ હાલતમાં ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુઓના પગ અને ગરદન દોરડાથી ટૂંકા બાંધી દેવાયા હતા. જેથી, તેઓ હલનચલન પણ ન કરી શકે. આ બ્રિજ પાસે ડાલું પલટી જતાં પશુઓ રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. પોલીસે ડાલાના ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં છ પશુઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 21 પશુઓને પોલીસે કલોલ અને ખેરપુરની પાંજરાપોળમાં આશ્રય માટે મોકલી આપ્યા હતા. જ્યારે પિકઅપ ડાલાના ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

