
ગુજરાતનો 63મો સ્થાપના દિન જામનગરમાં ઊજવાશે, પોલીસ પરેડ સહિત રંગારંગ કાર્યક્રમો યોજાશે
જામનગરઃ ગુજરાત રાજ્યના 63મા ગુજરાત સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી જામનગર ખાતે કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આગામી તા. 1લી મેએ 63માં ગુજરાત સ્થાપના દિવસની જામનગરમાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. સાથે જ જામનગરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજય મંત્રીમંડળના વિવિધ મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 303.49 કરોડની રકમના કુલ 551 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ,ઈ- ખાતમુહુર્ત, ઈ-ભૂમિપુજન કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 29 એપ્રિલથી સરકાર દ્વારા વસાવવામાં આવેલા અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉજવણીમાં મુખ્યમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે. પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની 21 જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા અવનવા શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત સ્થાપના દિવસ સંદર્ભમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને શુભેચ્છાઓ પાઠવીને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બનાવવાના સરકારના સંકલ્પમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.