Site icon Revoi.in

રાજકોટથી મુંબઈની-7, દિલ્હીની 4 અને હૈદરાબાદ-બેંગલોર -પૂણેની 1-1 ફ્લાઈટ ઉડાન ભરશે

Social Share

રાજકોટ, 23 માર્ચ 2026: Rajkot will get the benefit of 14 daily flights શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ઉનાળુ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી રાજકોટથી મુંબઈ-7, દિલ્હીની 4 ફ્લાઈટ્સ, તેમજ હૈદરાબાદની એક, બેંગ્લોરની એક તેમજ પૂણેની એક ફ્લાઈટ ઉડાન ભરશે. એટલે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રતિદિન 14 ફ્લાઈટ્સની આવન-જાવન રહેશે. જોકે ઉનાળામાં પણ રાજકોટને આંતરરાષ્ટ્રીય એક પણ ફ્લાઇટ ન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે.

 રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે.  આ અંગે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના તમામ એરપોર્ટ પરથી ઉનાળામાં ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તેમજ નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ શરૂ કરાશે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરશે. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. જ્યારે ઈન્ડિગો એર લાઇન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિના બાદ રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ શરૂ થઈ જશે એટલે કે એપ્રિલ અંતથી આ ફ્લાઈટ શરૂ થશે.

 રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉનાળાના સમયપત્રકમાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો લાભ મળ્યો નથી. જેનું કારણ એ છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રના મિનિસ્ટ્રી હોમ અફેર્સ વિભાગ સમક્ષ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટેની મંજૂરી માગવામાં આવેલી છે. જે હજુ સુધી મળી નથી. આ ઉપરાંત એક પણ એર લાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી નથી. જેને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને આ ઉનાળામાં પણ નહીં મળે.

Exit mobile version