
કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયાં
બેંગ્લોરઃ કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર હર્ષાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ચરચારી ઘટનામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હોવાનું હોવાનું જાણવા મળે છે. આ તમામ આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળે છે. હર્ષાની હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાની શકયતા છે. બીજી તરફ હર્ષાની હત્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
શિવમોગાના એસપી લક્ષ્મી પ્રસાદએ જણાવ્યું હતું કે, બજરંગદળના કાર્યકરની હત્યામાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ આસિફ, સૈયદ નદીમ, રેહાન શરીફ, નિહાન, અબ્દુલ અફનાન અને કાશિફ તરીકે થઈ છે. આ પ્રકરણમાં કુલ 12 શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે. હત્યાના કેસમાં ઝડપાયેલા તમામ આરોપીઓની ઉંમર 20થી 22 વર્ષ સુધીની છે.
20મી ફેબ્રુઆરીના રોજ હર્ષાની હત્યા કરવામાં આવી હતી. હર્ષાની હત્યા બાદ તેના પિતાએ આરોપ લગાવ્યો હતો કે, કેટલાક અસામાજીક તત્વોએ હર્ષા બજરંગદળનો કાર્યકર હોવાથી તેની હત્યા કરી છે.
કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ સમગ્ર કર્ણાટકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. તેમજ અનેક સ્થળો ઉપર તોડફોડ અને આગચંપની ઘટના સામે આવી હતી. બીજી તરફ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને પગલે તેની હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, પોલીસની તપાસમાં હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ તમામ આરોપીઓ એક જ કોમના હોવાથી હત્યાને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે.