મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે રૂ. 2000ની નોટોને પાછી ખેંચવાની જાહેરાત 19 મે 2023ના રોજ કરવામાં આવી હતી, તેમ છતાં 31 ઓગસ્ટ 2025 સુધીમાં હજી પણ રૂ. 5,956 કરોડ મૂલ્યની નોટો ચલણમાં છે. RBI અનુસાર, 19 મે 2023ના રોજ જ્યારે આ નોટો પાછી ખેંચવામાં આવી હતી, ત્યારે કુલ રૂ. 2000ની નોટોનું ચલણ રૂ. 3.56 લાખ કરોડ હતું. હાલમાં આ આંકડો ઘટીને માત્ર રૂ. 5,956 કરોડ રહ્યો છે. એટલે કે અત્યાર સુધીમાં રૂ. 2000ની 98.33% નોટો પરત આવી ગઈ છે. જો કે, RBIએ સ્પષ્ટ કર્યું છે કે રૂ. 2000ની નોટો હજી પણ કાયદેસર ટેન્ડર છે.
નાગરિકો RBIની ઓફિસોમાં રૂ. 2000ની નોટો જમા કરાવી શકે છે અથવા બદલી શકે છે. 9 ઓક્ટોબર 2023થી RBIએ આ નોટોને સીધી બેંક ખાતામાં જમા કરવાની સુવિધા પણ શરૂ કરી છે. આ ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ મારફતે કોઈપણ નાગરિક પોતાની રૂ. 2000ની નોટો પોસ્ટ દ્વારા RBIની ઈશ્યુ ઓફિસમાં મોકલી શકે છે, જે તેમની બેંક ખાતામાં જમા થઈ જશે. આ સુવિધા અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમની RBI ઓફિસોમાં ઉપલબ્ધ છે.