- મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો
- ગુજરાતમાં પણ એક સપ્તાહમાં 1860 નવા કેસ સામે આવ્યા છે
- મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં 81 ટકાનો વધારો
મુંબઇ: મહારાષ્ટ્ર ઉપરાંત હવે બીજા રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી ઉછાળો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16 એવા છે જ્યાં ગત સપ્તાહથી કોરોનાના નવા દર્દીઓના આંક વધ્યો છે. જેમાંથી મહારાષ્ટ્ર સહિત 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં પણ એક સપ્તાહમાં 1860 નવા કેસ સામે આવ્યા છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ગત સપ્તાહમાં કોરોનાના કેસમાં 81 ટકાનો વધારો થયો છે, જ્યારે મધ્યપ્રદેશમાં 43 ટકા, પંજાબમાં 31 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 22 ટકા, છત્તીસગઢમાં 13 ટકા અને હરિયાણામાં 11 ટકા, ચંડીગઢમાં 43 ટકા, કર્ણાટકમાં 4.6 ટકા અને ગુજરાતમાં 4 ટકા નવા કેસો વધ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ, તામિળનાડુ બાદ કર્ણાટકા દેશમાં ચોથા નંબરનું રાજ્ય છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે.
કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા હેતુસર મહારાષ્ટ્રના પુણે તેમજ નાસિકમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. યવતમાલ, અમરાવતી અને અચલપુરના કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ સ્થળોએ કડક કાર્યવાહી બાદ અન્ય રાજ્યો પણ એલર્ટ થઇ ગયા છે. દરેક રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 17 દિવસ બાદ સોમવારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 1.5 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ચેપના કુલ કેસ 11 કરોડને પાર થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ મંગળવાર સવારે આઠ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના 14,199 નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી કુલ કેસની સંખ્યા 1,10,05,850 થઈ ગઈ છે.
(સંકેત)