સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા સોમવારનો દિન નો વ્હીકલ ડે જાહેર કર્યો
રાજકોટ, 25 મે, 2026 : Declares Monday as No Vehicle Day પીએમ નરેન્દ્ર મોદીએ ઇંધણનો ઓછો ઉપયોગ કરવા અપીલ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર સોમવારેનો દિન નો વ્હીકલ ડે જાહેર કરીને પરિપત્ર જારી કર્યો છે. જેની અમલવારીરૂપે કુલપતિ ડૉ.ઉત્પલ જોશી આજે પોતાના બંગલાથી 800 મીટર પગપાળા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. જ્યારે કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા સિટી બસમાં આવ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસ પરના અધિકારીઓ અને કર્મચારીઓમાંથી મોટાભાગના ફોર વ્હીલર અને ટુ વ્હીલર લઈને આવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની આ એક વૈશ્વિક સમસ્યા છે, અને દરેક દેશ ઓછા વતા અંશે તેનાથી પ્રભાવિત થયો છે. વર્તમાન પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈધણ બચાવવાની અપીલ કરી છે જે અપીલમાં આહુતિ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ દર સોમવારે નો વ્હીકલ ડે એ પ્રકારનો પરિપત્ર કર્યો છે. જેના ભાગરૂપે આજે હું પગપાળા આવ્યો છું. યુનિવર્સિટીના દૂર દૂર રહેતા કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન મળે તો એક બે દિવસમાં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા શોધીને તેમાં જ યુનિવર્સિટી સુધી પહોંચશે. આ વૈશ્વિક સમસ્યા કેટલી ચાલશે તે આપણને ખબર નથી પરંતુ આ એક અપીલ છે. જેથી હાલની પરિસ્થિતિમાં ઈંધણનો બચાવ એ જ એક તેનો ઉપાય છે.
જોશીએ વધુમાં કહ્યું કે, ઈલેક્ટ્રીક વ્હીકલ એ પેટ્રોલ અને ડીઝલને બચાવવા માટે સારો વિકલ્પ છે. જેથી જે કર્મચારીઓ પાસે EV કાર કે ટુ વ્હીલર છે તે તેનો ઉપયોગ કરે. જ્યારે માટે અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે જ ઈલેક્ટ્રીક સીટી બસ આવે છે જેથી તેનો ફાયદો થઈ રહ્યો છે. આ ઉપરાંત રજીસ્ટ્રાર અજયસિંહ જાડેજા પોતાના ઘરેથી સિટી બસમાં યુનિવર્સિટી પહોંચ્યા હતા.


